Ahmedabad ,તા.૧૫
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મોહિની ટાવરમાં લૂંટ બાદ એક વૃદ્ધની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મરનાર વૃદ્ધનું નામ કન્હૈયાલાલ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે કન્હૈયાલાલ મૂળ કરમસદના રહેવાસી છે અને કેનેડામાં રહે છે. સોમવારે તે કરમસદથી અમદાવાદ આવ્યા હતા.
તેમના પત્નીએ તેમને ફોન કરેલ પણ તેમણે ફોન નહિ ઉપાડતા તપાસ કરતા તેમની લાશ મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યા કરી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે જેને લઈ લાશનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પીએમ રિપોર્ટ બાદ હત્યા કઈ રીતે કરવામાં આવી હોય તેવું જાણી શકાશે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો મૃતક મૂળ કરમસદના રહેવાસી છે અને કેનેડામાં રહે છે. તે પોતાની પત્ની સાથે કેનેડાથી કરમસદ આવ્યા હતા. અમદાવાદમાં પણ પોતાનું મકાન હોવાથી કાલે તે અમદાવાદના મોહિની ટાવરના પોતાના મકાનમાં આવ્યા હતા. ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ઘરમાં મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ પણ ગાયબ છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે સીસીટીવીના આધારે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ હત્યાનો ભેદ ઉકેલાઈ જશે તેવું ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે. ત્યારે હત્યા પાછળનું કારણ શું છે? શું લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણ છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ આ ઘટના બનતા પોલીસ દ્વારા ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.