સુધીર નાણાવટીને ૨૦ અને હસમુખ ચાવડાને ત્રણ મત મળ્યા હતા ૧૭ મતોથી વિજય
Ahmedabad,તા.28
ગુજરાત બાર કાઉન્સીલના સભ્યનું તાજેતરમાં નિધન પામતા ખાલી પેડેલી બેઠકની યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઇ હતી., જેમાં સમરસ પેનલના ઉમેદવાર તરીકે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ અને જાણીતા સિનિયર એડવોકેટ સુધીરભાઇ નાણાવટી ચૂંટાઇ આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતના સમયથી ભાજપ પ્રેરિત સમરસ પેનલનો ગુજરાત બાર કાઉન્સીલમાં દબદબો રહ્યો છે.
ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય અફઝલખાન પઠાણનું તાજેતરમાં જ નિધન થયુ હતુ, જેને પગલે બીસીઆઇના નિયમો મુજબ, આ ખાલી પડેલી બેઠક પંદર દિવસમાં ભરવી ફરજિયાત હતી, જેને લઇ આજે ગુજરાત બાર કાઉન્સીલની જનરલ બોર્ડની બેઠકમાં ચૂંટણી યોજાઇ હતી. બોર્ડની બેઠકમાં સૌપ્રથમ તો સ્વર્ગસ્થ સભ્ય અફઝલખાન પઠાણના માનમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતુ અને અડધો કલાક માટે બોર્ડ મુલત્વી રખાયું હતું. બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ખાનગી બેલેટ પેપરથી વોટીંગ કરાવાયું હતું. જેમાં સમરસ પેનલના ઉમેદવાર એવા સિનિયર એડવોકેટ સુધીરભાઇ નાણાવટીની તરફેણમાં ૨૦ મતો પડયા હતા, જયારે માત્ર ત્રણ મતો તેમની સામે ઉભા રહેલા અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના ઉપપ્રમુખ હસમુખ ચાવડાને મળ્યા હતા. આમ, સુધીરભાઇ નાણાવટી ૧૭ મતોથી ચૂંટાઇ આવતાં સમરસ પેનલના સભ્યોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. તો, વિપક્ષના હસમુખ ચાવડા હારતાં તેમના પક્ષમાં થોડી નિરાતાશાની લાગણી જોવા મળી હતી. આ સાથે સમરસ પેનલે પોતાનો દબદબો ફરી એકવાર જાળવી રાખ્યો હતો.