New Delhi,તા.27
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતાનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ તબિયત બગડતાં ડો. મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના દુ:ખદ સમાચાર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ તેમના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટી IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરવા બદલ રોબર્ટ વાડ્રાની ટીકા કરી હતી. જોકે બાદમાં રોબર્ટ વાડ્રાએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
રોબર્ટ વાડ્રાએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું, “મને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને ખૂબ જ દુ:ખ થયું છે… તેમના પરિવાર અને પ્રિયજનો માટે મારી ઊંડી સંવેદના છે. રાષ્ટ્ર માટે તમારી સેવા બદલ આભાર. તમે દેશમાં લાવેલા આર્થિક ક્રાંતિ અને પ્રગતિશીલ ફેરફારો માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે.”
અમિત માલવિયાએ રોબર્ટ વાડ્રાને વખોડતા કહ્યું કે, “રોબર્ટ વાડ્રાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મૃત્યુની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) તરફથી કોઈ અપડેટ નથી.
ગાંધી પરિવારના કોઈ સભ્ય મૃત્યુ જાહેર કરવામાં ઉતાવળ કરે તે દુ:ખદ છે. શા માટે સત્તાવાર મેડિકલ બુલેટિનની રાહ ન જોવામાં આવી અને ભૂતપૂર્વ વડાપ્રધાનના નિધનની જાહેરાત કરી નાખી ?
શું ગાંધી પરિવાર માટે ડો.સિંહ માટે કોઈ માન નથી ? ડો.મનમોહન સિંહ આદર અને ગૌરવને પાત્ર છે.