Ahmedabad,તા.14
અમદાવાદ પ્લેન-ક્રેશના પ્રારંભિક અહેવાલમાં પાઇલટની ભૂલ તરફ ધ્યાન દોરતું તારણ આપ્યા બાદ એક એક્સપર્ટે પાઇલટ તારા સુસાઇડ કરવામાં આવ્યું હશે એવી આશંકા પણ વ્યક્ત કરતાં બળતામાં ઘી હોમાયું હતું.
આ મુદે ઇન્ડિયા કમર્શિયલ પાઇલટ્સ અસોસિએશન (ICPA)એ પાઇલટની આત્મહત્યાની અટકળો પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને આ અહેવાલોને પાયાવિહોણા અને આરોપોને બેજવાબદાર ગણાવ્યા છે.
શનિવારે જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડરની ટ્રાન્સક્રિપ્ટ શેર કરવામાં આવી નહોતી, પરંતુ રિપોર્ટમાં એક વાક્ય હતું. એક પાઇલટે બીજાને પૂછયું હતું કે તે ફ્યુઅલ કેમ કટઓફ કર્યું? ત્યારે બીજા પાઈલટે જવાબ આપ્યો કે, મેં આવું કર્યું નથી.
ભારતના અગ્રણી ઉડ્ડયન નિષ્ણાતોમાં સ્થાન પામતા કેપ્ટન મોહન રંગનાથને કટઓફ મોડની ફયુઅલ સ્વિચ અને કોકપિટ ઑડિયોના ક્રમ તરફ ધ્યાન દોરીને આશંકા વ્યક્ત કરી હતી કે, આ ક્રેશ ઇરાદાપૂર્વક થયો હોઈ શકે છે.
સંભવિત રીતે પાઈલટે આત્મહત્યા કરી હોઈ શકે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ પાઇલટે ઈરાદાપૂર્વક બળતણ બંધ કર્યું છે, તે સંપુર્ણપણે જાણતો હતો કે આમ કરવાથી ક્રેશ થઈ શકે છે? આ સવાલના જવાબમાં કેપ્ટન રંગનાથને કહ્યું હતું કે, બિલકુલ.
ડ્રીમલાઈનરના એન્જિનમાં યુઅલ બંધ કરવાની કોઈ રીત છે કે કેમ? એ પૂછવામાં આવ્યું ત્યારે કેપ્ટન રંગનાથને જણાવ્યું હતું કે, ’એ જાતે જ કરવું પડે છે. એ આપમેળે અથવા પાવર-ફેલ્યરને કારણે થઈ શકતું નથી, કારણ કે ફ્યુઅલ સિલેક્ટર્સ સ્લાઈડિંગ પ્રકારનાં નથી.
તેઓ સ્લોટમાં રહેવા માટે રચાયેલાં છે અને તમારે એમને ઉપર અથવા નીચે ખસેડવા – માટે ખેંચવાં પડે છે. તેથી અજાણતાં એમને બંધ સ્થિતિમાં ખસેડવાની શક્યતા ઊભી થતી નથી. એને બંધ સ્થિતિમાં ખસેડવા માટે ઇરાદાપૂર્વક મેન્યુઅલ પસંદગીનો કેસ ચોક્કસપણે છે.’
ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ 12 જૂનના ક્રેશ અંગે પ્રારંભિક તારણો પ્રકાશિત કર્યાં એના 24 કલાક પછી જ કેપ્ટન મોહન રંગનાથનની ઉપરોક્ત ટિપ્પણી આવી છે.
સંભવિત મેડિકલ હિસ્ટરી કેપ્ટન રંગનાથને દાવો કર્યો હતો કે, ઍર ઇન્ડિયામાં કામ કરતા ઘણા પાઇલટ્સે મને જાણ કરી હતી કે ફ્લાઈટના મેમ્બર્સમાંથી એકની મેડિકલ હિસ્ટરી જાણીતી છે અને તે કેશ પહેલાં લાંબી મેડિકલ લીવ પર હતો.
ભૂતપૂર્વ પાઇલટોના સંગઠન ICPAએ ગઈ કાલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’અમે આ અટકળોથી ખૂબ જ દુ:ખી છીએ, ખાસ કરીને બેજવાબદાર અને પાયાવિહોણી ધારણા જે પાઇલટની આત્મહત્યા તરફ ઇશારો કરે છે.
આ તબક્કે આવા કોઈ દાવા માટે કોઈ આધાર નથી અને અધૂરી માહિતી પર આવા ગંભીર આરોપો લગાવવા એ માત્ર બેજવાબદાર જ નહીં, પરંતુ તે પરિવારો પ્રત્યે અત્યંત અસંવેદનશીલ પણ છે.’
આ નિવેદનમાં ICPAએ પાઇલટોની માનસિક અને વ્યાવસાયિક તપાસ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ’પાઇલટોને સથન મનોવૈજ્ઞાનિક અને વ્યાવસાયિક તપાસમાંથી પસાર થવું પડે છે.
તેઓ નિયમિત તાલીમ મેળવે છે અને ઉચ્ચતમ સલામતી ધોરણો હેઠળ કામ કરે છે. આ રીતે આત્મહત્યાનો આરોપ લગાવવો એ માત્ર નૈતિક પત્રકારત્વનું ઉલ્લંઘન નથી પણ વ્યવસાયની ગરિમાની વિરુદ્ધ પણ છે.’