Amreli ,તા.૨૯
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે બપોરના ૧૧ઃ૩૦થી ૧ઃ૩૦ વાગ્યા દરમ્યાન ૬૪ વર્ષીય પ્રભાબેન તેરૈયા નામની વૃદ્ધાનુ તીક્ષણ હથિયાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધ મહિલા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધના ગળાના તેમજ છાતી સહિતના ભાગે છથી સાત જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી હતી.
અમરેલી રૂરલ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે, મૃતકના ૬૫ વર્ષીય પતિ ભાનુશંકરભાઈ તેરૈયાની ફરિયાદના આધારે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૦૩ (૧) સહિતની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુરૂવારના રોજ ભાનુશંકરભાઈ સવારના સમયે પોતાની વાડી ખાતે ચાલ્યા ગયા હતા. ત્યારે બપોરના તે પોતાના ઘરે જ્યારે જમવા આવ્યા ત્યારે પોતાની પત્નીને લોહી લુહાણ હાલતમાં ઘરમાં જોઈ હતી.
તાત્કાલિક અસરથી તેમણે પોતાના ગામના સરપંચ સહિતના વ્યક્તિઓને જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસને જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઈ ન હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનો પુત્ર રાજુ તેરૈયા અમરેલી શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજુ તેરૈયા પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાનુશંકરભાઈ તેરૈયા નિવૃત્ત શિક્ષક હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે કયા કારણોસર વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ઘરમાંથી રોકડ કે સોના ચાંદીના દાગીના સહિત એક પણ મતાની ચોરી ન થઈ હોવાનું સામે આવ્યું છે. જસવંતગઢ ખાતે મૃતક અને તેમના પતિ એકલા રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.