Amreli,તા.28
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે રોડ શો યોજ્યા બાદ ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ અમરેલીના દુધાળા પહોંચ્યા છે. જ્યાં તેઓ ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે, ત્યારબાદ લાઠીમાં જાહેર સભાને સંબોધશે.
આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેનો લાભ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓને મળશે. વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C – 295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.’
ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે
સ્કિલિંગ અને રોજગાર સર્જન પર ભાર મૂકતા કહ્યું કે, એરબસ-ટાટા ફેક્ટરી જેવા પ્રોજેક્ટો હજારો રોજગારીનું સર્જન કરશે. આ ફેક્ટરી 18 હજાર એરક્રાફ્ટ પાર્ટ્સનાં સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે વિપુલ તકોનું નિર્માણ કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે.