Amreli, તા. 10
અમરેલી જિલ્લામાં બોગસ લેટર કાંડમાં પાટીદાર સમાજની દીકરીને રાતોરાત ઉઠાવી લઇ પોલીસ સ્ટેશન લઇ જઇ નિર્દોષ દીકરીને પટ્ટાથી માર મારવાના આક્ષેપોને લઇ લડતમાં ઉતરેલા અમરેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષી નેતાએ અમરેલી શહેરના રાજકમલ ચોકમાં ખુલ્લા મંચની ચર્ચા કાર્યક્રમ બાદ ધરણા કાર્યક્રમ યોજી પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે 24 કલાકના ઉપવાસની જાહેરાત સાથે ઉપવાસ આંદોલન છેડયુ છે.
જે આજે બીજા દિવસે પ્રવેશતા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પારણા નહી કરી વધુ ઉપવાસ-ધરણાને લંબાવતા રાજયમાં આ બનાવમાં હજુ ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના છે.
અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં સતત આજે ત્રીજા દિવસે પણ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ આંદોલન શરૂ રાખેલ અને ગઈકાલે મોડી સાંજે જાહેરસભાને સંબોધન કરવામાં આવેલ હતું. ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીના એક દિવસના ઘરણા પુરા થતાં તેઓએ પારણા કર્યા હતા.
નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માંગ સાથે શરૂ થયેલ આંદોલન સતત વેગવંતુ બન્યું હતું અને ગઈકાલે મોડી સાંજે યોજાયેલ જાહેર સભામાં જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે પણ કોંગી નેતાઓએ ભાજપીઓ અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને પીડિત યુવતીને ન્યાયની સાથે વિવિધ પ્રકારનાં ભ્રષ્ટાચાર મામલે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
આજે હવે નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માંગ સાથે શરૂ થયેલઆંદોલન હવે વધુ આક્રમક બનાવવા અંગે ચર્ચાઓ હાથ ધરી અને કાર્યક્રમ જાહેર કરાશે. આ ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડયા છે.
પાટીદાર યુવતીને ચકચારી લેટર કાંડમાં આરોપી બનાવીને તેની ધરપકડ કરી, જાહેરમાં સરઘસ કાઢવાના પ્રકરણથી સુરત સુધી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો. અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
કોઇ સમાજની દીકરીઓ સાથે આવું વર્તન થવું ન જોઇએ તેવી લાગણી વ્યકત થઇ હતી. આ ઘટનામાં પોલીસ રાજકીય હાથો બન્યાના આક્ષેપો પણ વિપક્ષે કર્યા છે. ભાજપની હાલત મોઢુ સીવાઇ ગયા જેવી છે. આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી મામલો ઠંડો પડે તેવું લાગતું નથી.