Jamnagar તા ૨૦
જામનગર-ખંભાળીયા હાઈવે પર આવેલી હોટલની સામે રોડ ક્રોસ કરતા વૃધ્ધને તુફાન જીપના ચાલકે હડફેટે લેતાં શરીરે ગંભીર રીતે ઘાયલ થયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળીયા હાઈવે રોડ આરટીવી હોટલની સામે ગોવર્ધન ગ્રીન્સ શેરીનં-રમાં રહેતા કેશવલાલ ઉર્ફે કેશુભાઈ મનજીભાઈ ચાવડા (ઉ.વ.૭૪) નામના બુઝુર્ગ ગત તા.૧૪ના રોજ હાઇવે રોડ ઉપર રસ્તો ક્રોસ કરતા હતાં. તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતી તુફાન ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવીને વૃધ્ધને હડફેટે લઈને ખંભાના ભાગે તેમજ હાથ-પગમાં અને ફેફસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને નાશી છુટયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
જે બનાવ અંગે મૃતકના પુત્ર પ્રફુલભાઈ કેશુભાઈ ચાવડાએ પોલીસમાં તુફાન ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.