Anand,તા.28
આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં મનપા દ્વારા ટેક્સ લેવામાં નહીં આવે પરંતુ, ગામોમાં જે રીતે ટેક્સ વસૂલાતનો સ્લેબ છે તે રીતે જ ટેક્સ લેવાશે. નવા નાણાકીય વર્ષમાં મનપામાં સમાવાયેલા ગામોમાં ટેક્સનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૬-૨૭માં તમામ ગામોમાં મનપાના નવા સ્લેબ મુજબ ટેક્સની વસૂલાત કરવામાં આવશે.આણંદ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે અંદાજિત રૂા. ૨૩.૬૫ કરોડની મિલકત વેરાની વસૂલાત કરી છે. જ્યારે હજૂ ચાલુ વર્ષની રૂા. ૧૫.૮૭ કરોડની વેરા વસૂલાત હજૂ બાકી છે. ત્યારે આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ શહેરનો અંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. જ્યારે વિદ્યાનગર અને કરમસદનો રૂા. ૧૯.૨૫ કરોડ નવો ટેક્સ આવશે. ત્યારે તા. ૩૧મી માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારને નવા વર્ષથી ૧૮ ટકા દંડ સાથે ટેક્સ ભરવો પડશે તેવું આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.
આણંદ નગરપાલિકા જ્યારથી મહાનગરપાલિકામાં પરિવતત કરવામાં આવી છે ત્યારથી મનપાના ટેક્સ વિભાગ દ્વારા કડક અને આકરી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત ૮૦૦૦ જેટલી નોટિસો રેહેણાંક અને વાણિજ્યિક મિલકત ધારકોને આપવામાં આવી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં ૧૧૦ જેટલી દુકાનોનો ટેક્સ બાકી પડતો હોવાથી સીલ પણ મારી દેવામાં આવ્યું હતું. મનપાએ હાલ ટેક્સ વસુલાત માટે આઠ સભ્યોની ત્રણ ટીમ બનાવેલી છે. મનપાની ટીમો હાલ આણંદ, વિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, બાકરોલ સહિતના વિસ્તારોમાં ટેક્સ વસૂલાતની કામગીરી કરી રહી છે. આણંદ મનપા વિસ્તારમાં હાલ કુલ ૧.૪૫ લાખ રહેણાંક અને અંદાજિત ૯૮ હજાર વાણિજ્યિક મકાનો આવેલા છે. આણંદ, વિદ્યાનગર, કરમસદમાં અંદાજિત ૭૮ હજાર મકાનો છે. જ્યારે જીટોડિયા, મોગરી, લાંભવેલ, ગામડી, બાકરોલ, કરમસદમાં ૬૭ હજાર જેટલા મકાનો આવેલા છે.
આણંદ શહેરમાં ૬૭ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો થવા જઈ રહી છે. જ્યારે મનપામાં સમાવેશ થયેલા નવા વિસ્તારોમાં ૩૧ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો આવેલી છે. પાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ, આણંદ શહેરનું ૨૦૨૫-૨૬નું આંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. વિદ્યાનગરનો ૭.૨૫ કરોડ, કરમસદનો ૧૨ કરોડ નવો ટેક્સ આવનાર છે. આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરેવાલે જણાવ્યું છે કે, તા. ૩૧ માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારા મિલકત ધારકો નવા વર્ષથી ૧૮ ટકા જેટલા દંડ સાથે ટેક્સ ભરવો પડશે. માર્ચ મહિનાના છેલ્લા રવિ અને સોમવારે પણ કચેરીમાં ટેક્સ વસૂલાત શરૂ રહેશે.