Gandhinagarતા.17
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં આણંદ મહાનગર પાલિકાનું નામ બદલીને ‘કરમસદ-આણંદ મહાનગર પાલિકા’ રાખવાનો ઠરાવ કેબિનેટે મંજૂર કર્યો હતો. આ નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને માન આપવા માટે લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યના નગરો અને મહાનગરોમાં જનસુવિધાઓના વિકાસ માટે આ વર્ષે કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા સામેલ છે.
આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવાની તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્રિક ગામ કરમસદની વિશિષ્ટ ઓળખ જળવાઈ રહે તે માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખી અને પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાણને માન આપતાં, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને ‘કરમસદ-આણંદ મહાનગરપાલિકા’ રાખવાનો ઠરાવ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે જાહેરનામું કરીને 1 જાન્યુઆરી 2025થી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા, વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા આજુબાજુના અન્ય ગામોનો સમાવેશ કરીને આણંદ મહાનગરપાલિકા રચવાનું નક્કી કર્યું છે.