૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને કર્યા હતા : આ કોલ દરમિયાન તેણે યુવક સાથે ૧૬ મિનિટ વાત કરી હતી
Surat, તા.૧૨
શહેરમાં સાતમી જૂનના રોજ ૨૩ વર્ષની મોડલ અંજલિ વરમોરાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસની પોલીસ તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે મોડેલના મોબાઈલની કોલ ડિટેલ રેકોર્ડની તપાસ શરૂ કરી છે. જેમાં આપઘાત પહેલાં યુવતીએ અઢી કલાકમાં ૨૩ કોલ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, યુવતીના આપઘાત પહેલાં અઢી કલાકમાં તેના ફોનમાંથી ૨૩ કોલ કરાયા હતા. જેમાંથી ૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને કર્યા હતા. આ કોલ દરમિયાન તેણે યુવક સાથે ૧૬ મિનિટ વાત કરી હતી. ઉપરાંત મુજબ અંજલિએ ૭ જૂન સાંજે અને રાત્રે તેની માતા, બહેન, જીજાજી અને ભાઈને પણ ફોન કર્યા હતા. એટલું જ નહીં, મોડેલે વોટ્સએપમાંથી પણ કોલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચિંતને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં અંજલિ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. વર્ષ ૨૦૨૧માં વેલેન્ટાઈન ડેના દિવસે તેણે અંજલિને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંનેના પરિવારજનોની સંમતિથી તેમની સગાઈ થઈ હતી. આ લોકોના ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લગ્ન થવાના હતા. પરંતુ ચિંતનની માતાનું બીમારીને કારણે અવસાન થતાં તે વખતે લગ્ન રદ કરવામાં આવ્યા હતા. જેથી તેમના લગ્ન એક વર્ષ પછી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, અંજલિ અલ્પેશભાઈ વરમોરા નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. ફેશન અને મોડેલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા આતુર અંજલિએ થોડા મહિના પહેલાં જ સાથે જોડાઈ પોતાની કારકિર્દીને નવા આકાર આપવાનું શરૂ કર્યું હતું. સુરત અને અમદાવાદના અનેક પ્રોજેક્ટ્સમાં પણ તેણે ભાગ લીધો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, અંજલિ ખુશમિજાજ સ્વભાવ ધરાવતી યુવતી હતી. તેના પરિવારમાં મમ્મી, ભાઈ અને બહેન હતા. પિતા અલ્પેશભાઈનું અઢી વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ માતાએ સઘન સંઘર્ષ કરીને પરિવાર સંભાળ્યો હતો.
અંજલિએ આપઘાત કર્યો તે શનિવારની રાત હતી. પરિવાર સાથે સાથે જમ્યા બાદ મમ્મી અને ભાઈ ઘરના કામ માટે બહાર ગયા. અંજલિ ઘરમાં એકલી રહી હતી. રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે ભાઈ પરત આવ્યા ત્યારે અંજલિ હોલમાં બેઠેલી હતી અને ફોનમાં હસી રહી હતી. એણે કહ્યું પણ હતું કે, “જલ્દી પરત આવી જજે.” ભાઈ બહાર ગયા અને તેના પાછા આવતા પહેલાં મોટી બહેન અને બનેવી ઘર પર પહોંચ્યા હતા. દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં તેમને શંકા જાગી. થોડા સમયમાં ભાઈ પણ પાછા ફર્યા. સૌએ મળીને અંજલિના ફિયાન્સને પણ ફોન કર્યો. દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો તો દ્રશ્ય ચોંકાવનારું અને હૃદયવિદારક હતું. અંજલિ પંખા સાથે દુપટ્ટા બાંધીને લટકતી જોવા મળી હતી.