Jamnagar તા ૨૬,
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર ૩૨૩ તથા ૩૨૬ વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી નાખી આર્થિક ફાયદો મેળવી લેનારા જામનગરના ત્રણ શખ્સો હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા, અને દિનેશભાઈ ચરણદાસ પરમાર સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો હતો, જે ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધા બાદ જેલ હવાલે કરાયા હતા.
આ પ્રકરણમાં જામનગર ગ્રામ્ય ની મામલતદારની કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા જાતે ફરિયાદી બન્યા હતા, અને પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગત ૧૫.૧.૨૦૨૦ થી આજ દિવસ સુધીમાં લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નંબર ૩૨૩ તથા ૩૨૬ ની જમીન, કે જે સરકારી ખરાબાની જમીન છે, તેમ જાણવા છતાં આ જમીનના બોગસ કાગળો તૈયાર કરાવી લીધા હતા, અને પોતાની જમીન દર્શાવી તેના પ્લોટ પાડી નાખ્યા હતા, અને આર્થિક લાભ મેળવવા માટેનું કાવતરું ઘડ્યું હતું.
લાલપુર ના આઇપીએસ અધિકારી શ્રી પ્રતિભા દ્વારા આ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ હતી. જેમાં તેઓએ જમીનના ગેરકાયદે ૧૬૦ જેટલા પ્લોટ પાડી દીધા હોવાનું અને જામનગર સહિતના અલગ અલગ આસામીઓને તે જમીન વેચી મારી હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરોક્ત જમીન તેણે જામનગર નજીક સરમત ના પાટીયા પાસે રહેતા કરસન રણમલભાઈ રાજાણી પાસેથી સાટા કરાર કરીને મેળવી હોવાનું જાણવા મળ્યું હતું, અને તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ પણ મળ્યા હતા.
આથી પોલીસે કરસન રાજાણી ની પણ અટકાયત કરી લીધી હતી. જેણે ત્રણેય આરોપીઓ સાથે રૂપિયા ૬૦ લાખમાં જમીનનો શોદો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત આરોપીની ધરપકડ કરી લીધા બાદ તેને પણ જેલ હવાલે કરી દેવાયો છે.
સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી જેમાં ૭૦ આસામી પોલીસ પાસે આવી ચૂક્યા છે, અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ તકે આઇપીએસ અધિકાર દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અનુરોધ કરાયો છે કે ઉપરોક્ત લાખાબાવળ વાળી સરકારી ગૌચરની જમીન કે જેનો કોઈ સાથે ઉપરોક્ત આરોપીઓએ સોદો કર્યો હોય, તો તેઓએ પોલીસ સમક્ષ આવીને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ક),૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.