Jamnagarતા ૧૦
, જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ તાજેતરમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં તેના પ્રેમી પતિ સામે શંકા દર્શાવીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે. અને આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદરના રાણાવાવ ની વતની અને છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં સ્વામિનારાયણ નગર શેરી નંબર ત્રણમાં ભાવિનભાઈ રોહિતભાઈ પટણી સાથે લવ મેરેજ કરીને રહેતી નસીમબેન હનીફશા રફાઈ નામની ૨૨ વર્ષની યુવતી, કે જેણે ગત ૨૯.૫.૨૦૨૫ ના દિવસે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી, અને તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ બાબતે તેણીના પ્રેમી પતી ભાવિનભાઈ પટણી દ્વારા સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી લેવાયું હતું, અને જામનગરના આદર્શ સ્મશાનમાં તેની અંતિમ વિધિ કરી લેવામાં આવી હતી.
મૃતક યુવતી મુસ્લિમ સમાજની હોવાથી અને તેણીને પોતાના પતિ નો અવારનવાર ત્રાસ હોવાનો પણ મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલા આક્ષેપ માં જણાવ્યું હતું. પરંતુ તેણી ડરના માર્યા કોઈ ફરિયાદ કરતી ન હોવાના આક્ષેપ કરીને મુસ્લિમ સમાજ દ્વારા ગઈકાલે જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, અને કેટલાક લોકો રેલી સ્વરૂપે એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા, અને આ આત્મહત્યાના પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
ઉપરાંત મૃતક યુવતી મુસ્લિમ જ્ઞાતિની હોવા છતાં તેની હિંદુ વીધી અનુસાર અંતિમ વિધિ કરવાનો પણ આક્ષેપ કરાયો છે. જે અંગે આદર્શ સ્મશાનમાં પૂછપરછ કરતાં તેણીના પતિ દ્વારા આધાર કાર્ડ વગેરે અને પોતાની સાથે લગ્ન કરી લીધા હોવાના પુરાવા રજૂ કર્યા બાદ તેની અંતિમ વિધિ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.