New Delhiતા.28
પહેલગામ હુમલાના પગલે જયાં પાકને ‘શિક્ષા’ કરવા ભારતની તૈયારી વચ્ચે દિલ્હીમાં નિર્ણાયક બેઠકોનો દૌર શરૂ થયો છે. ગઈકાલે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘના નિવાસે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) શ્રી અનિલ ચૌહાણ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોભલ સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
બાદમાં આજે શ્રી રાજનાથસિંઘ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિવાસે પહોંચ્યા હતા અને ગઈકાલની બેઠક અંગે માહિતી આપી હતી. હવે બપોરે 3ના ટકોરે સંરક્ષણ બાબતેની પેનલની બેઠક શરૂ થઈ છે જેમાં પાકને ‘શિક્ષા’ કરાતા આખરી પ્લાનને મંજુરી અપાશે અને આગામી દિવસમાં એકશન શરૂ થશે.
એક તરફ પહેલગામ હુમલાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ કાશ્મીરમાં તપાસ હવે છેક ત્રાસવાદીની મોડેલ ઓપરેન્ડી સુધી લંબાવી છે અને સ્થાનિક સપોર્ટની કડીઓ પણ ખુલ્લી કરી રહી છે તે વચ્ચે સૈન્યને હાઈએલર્ટ પર મુકાયુ છે.
ઈસ્લામાબાદ ખાતેના ભારતીય દૂતાવાસ કચેરીના સંરક્ષણ, હવાઈદળ, નૌકાદળના એડવાઈઝર પણ દિલ્હી પરત આવી ગયા છે અને તેમાં પણ હવે આ પ્રક્રિયામાં જોડાઈ ગયા છે. આમ ભારત હવે કયારે તેની સૈન્ય કાર્યવાહી શરુ કરે તેના પર સૌની નજર છે.