Rajkot, તા. 29
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ-મરણના પ્રમાણપત્રો મેળવવાની ફીમાં મોટો વધારો સૂચવવામાં આવ્યા બાદ આગામી તા.1-4-2025 એટલે કે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી આ વધારો લાગુ કરી દેવા રાજકોટ મહાપાલિકાએ જાહેરાત કરી છે. હવે જન્મ કે મરણના પ્રમાણપત્રની ફી રૂા. પાંચના બદલે સીધી 50 લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
મોડી નોંધણી, જુના રેકર્ડ શોધવા, દાખલા મેળવવા, દંડ સહિતની ફીમાં મોટો વધારો લાગુ થશે. એટલે કે તા.1ના મંગળવારથી રાજકોટની પ્રજાએ જન્મ-મરણના દાખલા માટે હવે તોતીંગ ફી ચૂકવવાનો વારો આવશે. માત્ર રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં દર વર્ષે અંદાજીત 35 હજાર જેટલી નવી જન્મ નોંધણી અને 18 હજાર જેટલી મરણ નોંધણી થાય છે.
એટલે કે વર્ષે અડધો લાખની નોંધણી થતી હોય છે. જે તે વ્યકિતના જન્મ અને મરણના દાખલા લોકો જરૂરીયાત મુજબ કઢાવતા હોય છે. સરેરાશ 5-5 નકલ પણ ધારીએ તો અત્યાર સુધી પાંચ નકલની ફી રૂા. 25 થતી હતી જે હવે 250 થઇ જશે. એટલે કે આ દાખલાની ફીમાં મોટો દસ ગણો વધારો આવી જશે.
આજે મનપાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલી વિગત મુજબ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2025 અમલમાં લાવવા તા. 27-2-2025ના રાજય સરકારના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. આ સુધારો આ દિવસથી અમલમાં આવેલ છે. રાજકોટ કોર્પો.એ લગભગ અઢી દાયકા બાદ આ દરમાં ફેરફાર કર્યા છે.
સુધારા અનુસાર નિયમ 5 મુજબ અગાઉ કોઇ મોડી નોંધણી (21 દિવસ થી વધુ)અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી(1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ. 10.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 100.00 કરવામાં આવેલ છે.
સુધારા અનુસાર નિયમ 13 મુજબ અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે.
કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. 20.00 કરવામાં આવેલ છે.
સુધારા અનુસાર નિયમ 16 મુજબ આ નિયમના પેટા નિયમ (1), (2) અને (3) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 25.00 હતી તે વધારીને રૂ. 250.00 કરેલ છે. આ નિયમના પેટા નિયમ (4) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 10.00 હતી તે વધારીને રૂ. 100.00 કરેલ છે.
રાજ્ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોય આગામી તા. 1 એપ્રિલથી મહાપાલિકામાં સિવિક સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં હવેથી લોકોને દાખલા માટે સુધારા મુજબની ફી ચુકવવી પડશે તેમ આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
♦ જન્મ-મરણના પ્રમાણપત્રની ફી રૂા. 5ના બદલે 50
♦ મોડી નોંધણીની ફી રૂા. 2, 5 અને 10ના બદલે 20, 50 અને 100
♦ રેકર્ડ શોધવાની ફી 2, 5ના બદલે હવે 20 અને 50
♦ ગુનાના દંડની રકમ 25ના બદલે 250
♦ દંડની અન્ય રકમ 10ના બદલે 100