Jamnagar તા ૨૭
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૭ માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસ્થા કરતા મીરાબેન શાંતિલાલ અઘેડા (૩૨વર્ષ)એ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ કાકી ભાવનાબેન જગદીશભાઈ અઘેરા અને પિતરાઈ બહેન નિશાબેન જગદીશભાઈ અઘેરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈ રાત્રે તેઓ પોતાના ઘેર હતા, જે દરમિયાન તેના ઉપરના માળે જ રહેતા બહેન નિશાબેન જગદીશભાઈ ઘરમાં ધસી આવ્યા હતા, અને તેં અમારા ઘરના દરવાજા પર બહારથી સ્ટોપર શું કામ મારી દીધી હતી, તેમ કહી તકરાર કરી હતી.
જેમાં એડવોકેટે પોતે સ્ટોપર મારી ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ મકાનમાં એડવોકેટ અને નિશાબેન તથા તેના માતા ભાવનાબેન ડેલી બંધ મકાનમાં ઉપર નીચે ત્રણેય એકલા જ હોવાથી તમે જ સ્ટોપર મારીને માતા પુત્રીને પુરી દીધા છે, તેમ કહીને તેની પિતરાઈ બહેને તકરાર કરી હતી.
જે દરમિયાન નિશાબેનના માતા ભાવનાબેન જગદીશભાઈ અઘેડા આવી ગયા હતા અને બન્નેએ તકરાર કર્યા બાદ એડવોકેટ મીરાબેનના વાળ ખેંચી ઢસડીને ઢોર માર માર્યો હતો, તેમ જ નખ વડે વિખોડિયા ભરીને ઇજા પહોંચાડી હતી.
આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે એડવોકેટ મીરાબેન ની ફરિયાદ ના આધારે તેણીના કાકી ભાવનાબેન અઘેરા અને પિતરાઈ બહેન નિશાબેન અઘેરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.