ભાવનગરમાં કોરોનાના ૨ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
Bhavnagar, તા.૨૫
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા કેસને પગલે ભાવનગરનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભાવનગરમાં કોરોનાના ૨ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.આ બન્ને કેસોને પગલે ભાવનગરના આરોગ્ય વિભાગે સરટી હોસ્પિટલમાં ૩૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે. આ ઉપરાંત પીપીઈ કિટ, ઓક્સિજન ટેન્ક અને વેન્ટિલેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક સગર્ભા મહિલા અને એક આધેડ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા છે. બંનેની તબિયત હાલમાં સ્થિર છે. જો કે બંન્ને દર્દી હાલ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ચિંતાજનક નથી પણ તકેદારીના ભાગરૂપે આ તૈયારીઓ કરવામાં આવી છે.
બીજી તરફ સુરત શહેરમાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલના બે મહિલા તબીબ કોરોનાગ્રસ્ત થયા છે. બન્ને તબીબોને સિવિલના આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા.એક દર્દીને રજા અપાઈ છે. ત્યારે બન્નેની તબિયત હાલ સ્થિર છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોર્ડ સજ્જ કરાયો છે. ઓક્સિજન, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જરૂર પડે તો વધુ બેડ ધરાવતો વોર્ડ તૈયાર કરાશે.