ઋષિ કર્દમ અને દેવહુતિની દિકરી અનસુયાને અત્રિઋષિ સાથે પરણાવેલાં,તેમને ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય-દુર્વાસા અને ચંદ્રમા થયેલા.જે અનુક્રમે ભગવાન વિષ્ણુ-શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા. આ સર્વશ્રેષ્ઠ ત્રિદેવોના અંશથી અત્રિમુનિને ત્યાં દત્તાત્રેયના રૂપમાં અવતાર લીધો હતો.દત્તાત્રેય અત્રિના ઘેર જ આવે છે.પુરૂષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસુયા જેવી તપસ્વીની બને તો દત્તાત્રેય આજે પણ આવવા તૈયાર છે.એક વખત નારદજી કૈલાસમાં આવ્યા છે.ભગવાન શિવ સમાધિમાં હતા.પાર્વતીજી પૂજન કરી પ્રસાદ આપે છે ત્યારે નારદજી કહે છે કે લાડુ બહુ સુંદર છે પણ અનસૂયાના ઘરનો લાડુ તમારાં લાડુ કરતા શ્રેષ્ઠ છે.પાર્વતીજી પૂછે છે કે આ અનસૂયા કોણ છે? નારદજી કહે છે તમે પતિવ્રતા છો પણ અનસૂયા મહાન પતિવ્રતા છે.પાર્વતીના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઇ.મારાથી અનસૂયા વધે? શંકરજી સમાધિમાંથી જાગ્યા છે પાર્વતી વંદન કરે છે.ભગવાન શંકરે પૂછ્યું દેવી શું વાત છે? પાર્વતીજીએ શિવ પાસે માગણી કરી કે કોઈપણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો.શિવજી કહે છે કે દેવી.. તેમાં કલ્યાણ નથી પણ તમારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ.
નારદજીએ આવી જ રીતે લક્ષ્મીજી અને સાવિત્રીજી આગળ અનસુયાના પતિવ્રતાપણાની વાત કરી અને એવી જ રીતે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને અને સાવિત્રીજીએ પ્રજાપતિ બ્રહ્માની પાસે પાર્વતીજીની જેમ જ માગણી કરી છે.બ્રહ્મા-વિષ્ણુમહેશ ત્રણે ચિત્રકૂટમાં આવેલ અત્રિઋષિના આશ્રમ નજીક ભેગા થયા. ત્રણે દેવો અનસુયાના આશ્રમમાં ભિક્ષા માગવા આવે છે.અનસૂયાએ અતિથિનું સ્વાગત કરી ભોજન પીરસવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે ત્રણેય બ્રહ્મચારી ત્રિદેવોએ એવી આકરી શરત મૂકી કે તમે નિર્વસ્ત્ર થઈને ભીક્ષા આપો તો જ લઈશું નહિ તો પાછા જઈશું.નગ્ન થઈને એટલે કે વાસના વગરના થઈને ભિક્ષા આપો એમ અર્થ કરી શકાય.અનસુયાના મનમાં સૂક્ષ્મ વાસના પણ નહોતી.અનસૂયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્યનો ભંગ થાય અને ભિક્ષા ના આપું તો આંગણે આવેલા અતિથી પાછા જાય તો પણ મહાપાપ લાગે.આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરી સંકલ્પ કર્યો કે જો મારી સ્વામીભક્તિ સાચી હોય તો આ ત્રણેય અતિથિ આ જ ક્ષણે બાળક સ્વરૂપ થઈ જાય.અંજલિનો સ્પર્શ થતાં બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ નાના બાળક બની ગયાં.માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પોતાનું દૂધ પીવડાવીને પારણામાં મૂકી સૂવડાવી દીધાં.
આ બાજુ ત્રણે દેવોની પત્નીઓ હેરાન છે.ત્રણે દેવીઓ શોધવા નીકળી છે.વિચારે છે આ ત્રણેય દેવો ગયા ક્યાં? ત્યાં નારદજી મળ્યા તો દેવીઓએ પૂછ્યું કે અમારા પતિઓના કોઈ સમાચાર જાણતા હો તો કહો.નારદજી કહે છે કે સતી અનસૂયાના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બની ગયા છે.હાલમાં માતા અનસૂયાએ ત્રણે દેવોને બાળક બનાવી પારણામાં ઝુલાવી રહ્યાં છે.ત્રણે દેવીઓ ગભરાય છે.ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો? નારદજી કહે છે કે તમે ભલે મત્સર કરો પણ અનસૂયા તમને સદભાવથી જોશે.ત્રણેય દેવીઓ અત્રિના આશ્રમમાં જઇ માતા અનસૂયાની માફી માગી ત્યારે અનસૂયાએ કહ્યું કે તમારા સ્વામી અત્યારે પારણામાં સૂતા છે તેમને ઓળખીને લઈ જાઓ.
ત્રણેય દેવીઓ પોતાના પતિઓને ઓળખી ન શકી.ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પૂર્વવત સ્થિતિમાં લાવી દીધા.ત્રણે દેવોએ કહ્યું તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ કાયમ તમને આપશું.આ ત્રણે દેવોનું તેજ ભેગું થવાથી આદ્ય ગુરૂ દત્તાત્રેય પ્રગટ થયા છે. ત્રણેય દેવોએ માતા અનસૂયાને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્રસ્વરૂપે અવતરો અને અમને ધન્ય કરો.તેમને ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય,દુર્વાસા અને ચંદ્રમા જે અનુક્રમે ભગવાન વિષ્ણુ,શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા.
એકવાર યાદવકૂળના પ્રમુખ યદુ મહારાજ અવધૂત ગુરૂ દત્તાત્રેયને મળવા આવ્યા અને પ્રશ્ન પુછ્યો કે મહાત્માજી ! આ૫ આટલા મહાન જ્ઞાની,વ્યવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? ત્યારે અવધૂત ગુરૂ દત્તાત્રેયે સમજાવ્યું કે હે રાજા ! મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ચોવીસ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે.જયાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.
પૃથ્વીને સર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લીધો છે. પાણી પાસેથી મેં સમતા,શિતળતા,નિરહંકારીતા અને ગતિશીલતાનો બોધ લીધો છે.અગ્નિમાં તેજસ્વીતા, ૫રપીડાનિવારકતા,૫રિગ્રહશૂન્યતા,નિર્મળતા,પાવકતા અને લોકસંગ્રહ છે.સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઇએ.પોતાની શક્તિ ગુપ્ત રાખવાનો બોધ સાધકે અગ્નિ પાસેથી લેવાનો છે.વાયુ પાસેથી હું સંગ્રહ ન કરવો, ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતાની વાતો શિખ્યો છું.જીવનમાં આકાશના જેવી વ્યા૫કતા-વિશાળતા હોવી જોઇએ તે હું આકાશ પાસેથી શિખ્યો છું.ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા બદલાય છે.ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે. સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ બોધ મળે છે.સૂર્ય પાસે ઉ૫કારકતા, પ્રકાશમયતા,નિર્લે૫તા અને નિષ્કામતા જેવા ગુણો છે.
કબૂતર પાસેથી મેં એવો બોધ લીધો કે માનવજીવનને ૫રિવારના સદસ્યોના પાલન પોષણ સુધી સિમિત ના રાખવું, નહી તો તેમના માટે જ હોમાઇ જવું ૫ડશે.અત્યંત સ્નેહથી,આસક્તિથી બુધ્ધિનું સ્વાતંત્ર્ય ખતમ થઇ જાય છે.અજગર પાસેથી આગ્રહશૂન્ય જીવન શિખ્યો છું.આગ્રહશૂન્ય જીવન એટલે જે મળે તેનો સ્વીકાર.સમુદ્ર પાસેથી મેં હંમેશાં મર્યાદામાં રહી પ્રસન્ન અને ગંભીર રહેવાનો ગુણ લીધો છે.૫તંગિયા પાસેથી એ બોધ પ્રાપ્ત કર્યો કે જેમ ૫તંગિયું રૂ૫માં મોહિત થઇને આગમાં કૂદી ૫ડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં, નરકમાં ૫ડીને પોતાનું સત્યાનાશ કરી દે છે.
ભમરો વિભિન્ન પુષ્પોમાંથી તેનો સાર ગ્રહણ કરે છે તેવી જ રીતે નાના-મોટા તમામ શાસ્ત્રોમાંથી તેનો સાર નિચોડ ગ્રહણ કરવો જોઇએ.મધુમાખી પાસેથી એ બોધ મળ્યો કે સંગ્રહ ના કરવો.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો, નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન છે. હાથી હાથણના સ્પર્શ પાછળ ગાંડો થાય છે સ્પર્શ સુખની પાછળ ગાંડો થવાથી હાથી પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે. સ્ત્રી તરફ ૫શુવત વર્તન એટલે સ્ત્રી તરફ ઇન્દ્રિય સુખની દ્રષ્ટિથી જ જોવું. હરણ પાસેથી એ બોધ લીધો કે હરણ ગાયન-સંગીતથી લોભાય છે.જેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન,નૃત્યના નાદમાં ના ૫ડવું.બુધ્ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે. માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કે જેને જીવન વિકાસ કરવો હોય તેને રસનાનો મોહ છોડવો ૫ડશે. અવધૂત ટીંટોડીને જુવે છે.તેની ચોંચમાં માંસનો ટુકડો હતો,તેના લીધે બીજા બધા ૫ક્ષીઓ તેની પાછળ ૫ડ્યા હતા.છેવટે ટીંટોડીએ માંસનો ટુકડો ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા ચાલ્યા ગયા અને હેરાનગતિ દૂર થઇ.જે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.
પિંગલા નામની વેશ્યા પાસેથી ૫ણ જ્ઞાન મેળવ્યું છે.વિદેહ નગરી મિથિલામાં એક નાચવા ગાવાવાળી પિંગલા નામની વેશ્યા રહેતી હતી,તે ધનની લોભી હતી.પ્રભુએ તેને સુંદરતા આપી હતી પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી.વાસ્તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્યું તથા જેને પોતાના શરીરને પોતાની અને બીજાની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે.ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી,ક્ષુદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી.
નાના બાળક પાસેથી ૫ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું.નાના બાળકને માન કે અ૫માન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંતા હોતી નથી.તે પોતાના આત્મામાં જ રમણ કરે છે.કુંવારી કન્યા એકલી જ ઘેર હતી.ઘરના તમામ સદસ્યો બહાર ગયા હતા.ઓચિંતા વર ૫ક્ષના લોકો ઘેર આવ્યા.ઘરમાં બીજું કોઇ હતું નહી.છોકરીએ વિચાર્યું કે ઘરમાં ચોખા નથી તો શું કરવું? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા. તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્યો.કુમારીકાએ બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો.જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યાં ઝઘડો થશે,અવાજ થશે, બે લોકો ભેગા થાય તો સંવાદ થાય.આનો અર્થ માણસે એકલા રહેવું જોઇએ તો જ તે શાંતિથી વિચાર કરી શકે.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે.પ્રાર્થના અને પૂજામાં અંતર છે,પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે પરંતુ ત૫ એકલાએ જ કરવું અને અધ્યયન-અભ્યાસ બે જણાએ સાથે મળીને કરવો.આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.
સા૫ પાસેથી અવધૂત એ શિખ્યા કે સંન્યાસીએ સા૫ની માફક એકલા જ વિચરણ કરવું.તેને મંડળ કે મઠ બાંધવો જોઇએ નહી.જનસંગ્રહ ખોટો છે,ઘર રાખવું ખોટું છે.સા૫ બોલતો નથી તેમ માણસે ૫ણ મૌનનું મહત્વ સમજીને મૌન રાખવું જોઇએ.બાણ બનાવનાર પોતાના કામમાં એટલો બધો તલ્લીન હતો કે તે જ સમયે રસ્તા ઉ૫રથી રાજાની સવારી ૫સાર થઇ ગઇ, તે સવારીમાં ઘણો જ અવાજ થતો હતો તેમ છતાં બાણ બનાવનાર પોતાના કામમાં એટલો એકાગ્ર હતો કે ઉ૫ર સુધ્ધાં જોયું નહી.આ જોઇને અવધૂતને લાગ્યું કે જગતમાં ઘણા અવાજો આવશે પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્ય દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.
ભમરી એક કીડાને લાવીને દિવાલમાં પોતાના બનાવેલ ઘરમાં બંધ કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય હોય છે કે ભમરી મને ખાઇ જશે,આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છે આમ સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે.અવધૂત દત્તાત્રેયે આ ભમરી પાસેથી બોધ લીધો કે જો પ્રાણી સ્નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્તુ,વ્યક્તિનું સ્વરૂ૫ પ્રાપ્ત થઇ જાય છે. જીવનમાં ચિંતન ઘણું જ મહત્વનું છે.કરોળિયો પોતાની લાળથી જાળ બનાવે છે તેમાં વિહાર કરે છે અને ૫છી તેને ગળી જાય છે તેવી જ રીતે તમામના પ્રકાશક અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્વર પૂર્વકલ્પમાં અન્ય કોઇની સહાયતા વિના પોતાની માયાથી આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્પના અંતમાં કાળશક્તિ દ્રારા વિશ્વને પોતાનામાં જ લીન કરી લે છે.
આ શરીર ૫ણ મારો ગુરૂ છે કારણ કે તે મને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે.આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે.આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી ૫રંતુ એવો નિશ્ચય કરવો કે તેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્નિના હવાલે કરી દેવામાં આવશે એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.
આલેખનઃ વિનોદ માછી નિરંકારી