પરીક્ષા શરૂ થયા બાદ એક કલાક પછી ભુલ થઇ હોવાની જાણ થતાં પ્રશ્ન બદલવામાં આવ્યો હતા
Ahmedabad, તા.૨૩
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ અંતર્ગત આજે બી.કોમ. સેમેસ્ટર ૫માં ઓડીટીંગ વિષયની પરીક્ષામાં ૧૪ માર્કસનો એક પ્રશ્ન સિલેબસ બહારનો પુછી દેવામાં આવ્યો હતો. પરીક્ષા શરૂ થયા બાદ એક કલાક પછી ભુલ થઇ હોવાની જાણ થતાં પ્રશ્ન બદલવામાં આવ્યો હતો. એટલું જ નહી પરીક્ષામાં અડધો કલાક બાકી હતો ત્યારે ચાર એમસીક્યુમાં પણ ફેરફાર કરવામાં આવતાં વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી મુકાયા હતા.
આજે બી.કોમ. સેમેસ્ટર ૫માં ઓડીટીંગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રશ્નપત્ર હાથમાં આવતાં જ ત્રીજો પ્રશ્ન સિલેબસ બહારનો હોવાની ખબર પડી હતી. વિદ્યાર્થીઓએ આ મુદ્દે ફરિયાદ કરતાં એક કલાક પછી યુનિવર્સિટીમાંથી પ્રશ્ન ૩ના બદલે અન્ય પ્રશ્ન લખાવીને મોકલવામાં આવ્યો હતો. અગાઉના પ્રશ્નમાં દાખલો હતો, તેની સામે યુનિવર્સિટીએ થિયરીનો પ્રશ્ન મોકલીને તે લખવા વિદ્યાર્થીઓને સૂચના આપી હતી. આશ્ચર્યની વાત એ કે, સિલેબસ બહારનો અને સેમેસ્ટર ૬નો પ્રશ્ન સેમેસ્ટર ૫માં પુછી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા પુરી થવાને અડધો કલાકનો સમય બાકી હતો ત્યારે અચાનક યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્રમાં નવો સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં ચાર એમસીક્યુ ખોટા હોવાથી તે સુધારવા માટે વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ ભુલ સુધારી ત્યાંસુધીમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને વર્ગખંડની બહાર નીકળી ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓને ચાર એમસીક્યુમાં ભુલની અનેક યુનિવર્સિટીએ સુધારો કર્યો હોવાની જાણ થતાં પરત વર્ગખંડમાં ગયા હતા. વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહી સુધારેલા એમસીક્યુ લખવા માટે પરત માંગતાં ઇન્કાર કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓ અને પરીક્ષક-કોલેજ સત્તાધીશો વચ્ચે વિવાદો પણ ઉભા થયા હતા. આમ, અડધો કલાક પહેલા ચાર એમસીક્યુમાં સુધારો કરતાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાંથી જતાં રહ્યા હોવાથી તેઓએ માર્કસ ગુમાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે, ૧૪ માર્કસનો પ્રશ્ન સિલેબસ બહારનો હતો અને ચાર એમસીક્યુમાં ભુલ હોવાથી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના મુશ્કેલી ન પડે તે માટે વધારે સમય આપવામાં આવ્યો હતો.