આધુનિક જીવનમાં તણાવ આપણા રૂટીનનો એક ભાગ બની ગયો છે અને તે ડિપ્રેશન જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં, યોગ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, યોગથી કરોડો લોકોના શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને માનસિક તણાવ ઓછો કરીને તેમને સુખી જીવન જીવવામાં મદદ કરી છે.
આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, યોગ તણાવ ઘટાડવામાં મદદરૂપ છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું લેવલ વધી જાય છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. યોગના અભ્યાસથી આ હોર્મોન નિયંત્રિત રહે છે, જેનાથી તણાવમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત, યોગ આપણી નર્વસ સિસ્ટમને સંતુલિત કરે છે, જે મનને શાંતિ આપે છે.
તણાવ ઓછો કરવા માટે બાલાસન એક ઉત્તમ વિકલ્પ છે. આ આસન કરવા માટે, પહેલાં ઘૂંટણિયે બેસીને પગની એડીઓને ભેગી કરો. પછી ધીમે ધીમે બંને હાથ ઉપર ઉઠાવીને શ્વાસ અંદર લેતા આગળની તરફ ઝુકો. આ સ્થિતિમાં લગભગ પાંચ મિનિટ સુધી રહો. બાલાસન મનને શાંતિ આપે છે અને માનસિક થાક દૂર કરે છે. તેમજ તેના નિયમિત અભ્યાસથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે.
સુખાસન તણાવ ઓછો કરવા માટે એક સરળ અને અસરકારક આસન છે. આ આસન કરવા માટે, પગ વાળીને પલાઠી વાળીને બેસો અને પછી આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો. આ દરમિયાન કરોડરજ્જુ સીધી રાખો. જે લોકો નાની-નાની વાતોથી જલ્દી ગભરાઈ જાય છે અથવા ચિંતિત રહે છે, તેમના માટે સુખાસન ખૂબ ફાયદાકારક છે.
શવાસનને ‘વિશ્રામની મુદ્રા’ પણ કહેવામાં આવે છે, જે માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે, આરામદાયક સ્થિતિમાં પીઠ પર સૂઈ જાઓ. શરીર અને મન બંનેને સંપૂર્ણ રીતે આરામની સ્થિતિમાં લાવો. તેનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને માનસિક તણાવ ઘટે છે. જે લોકો અનિદ્રાથી પીડાઈ રહ્યા છે, તેમના માટે શવાસન એક વરદાન સાબિત થઈ શકે છે.