China,તા.૨૨
હજુ થોડા વર્ષો પહેલા જ કોરોના મહામારીએ ભારે કહેર મચાવ્યો હતો. લાખો લોકોના મોત થયા હતા. ચીનથી નીકળેલો આ વાયરસ માણસથી માણસમાં ફેલાયો અને હાહાકાર મચાવી દીધો. હવે ચીનમાં જ એક નવા કોરોના વાયરસની શોધ થઈ છે. જેને એચકેયુ૫-સીઓવી-૨ નામ આપવામાં આવ્યું છે. આ વાયરસ પણ ચામાચિડિયાઓમાં મળી આવ્યો છે અને તેમાં માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા હોઈ શકે છે. આ નવી શોધે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને સતર્ક કર્યા છેે. કેટલાક લોકો તેને બેટ કોરોના વાયરસ પણ કહે છે.
અસલમાં ચીનના વૈજ્ઞાનિકોએ આ નવા વાયરસની શોધ કરી છે જે માણસોમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ એચકેયુ૫-સીઓવી-૨ વાયરસ એ જ માનવ રિસેપ્ટરનો ઉપયોગ કરે છે જેને કોવિડ ૧૯ના કારણે બનનારા એસએઆરએસ-સીઓવી-૨એ કર્યો હતો. આ શોધનું નેતૃત્વ પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટ શી ઝેંગલીએ કર્યું હતું. જે બેટ વુમનના નામથી ઓળખાય છે. આ નવી શોધથી પહેલા ચીનમાં ફ્લૂ જેવા લક્ષણોવાળા માનવ મેટાપન્યૂમોવાયરસ એચએમપીવીના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો જેનાથી કોવિડ જેવી મહામારીનો ડર ફરીથી સતાવવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં ભારે ભીડની તસવીરો વાયરલ થઈ રહી હતી પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સ્પષ્ટ કર્યું કે એચએમપીવી નવો નથી અને તે ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે ફેલાતો રહે છે. જો કે આ વાયરસ અંગે જાગૃતતા વધારવાની જરૂર છે.
એચકેયુ૫-સીઓવી-૨ વાયરસ ચામાચિડિયાઓથી આવ્યો છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોમાં કોઈ અન્ય પશુના માધ્યમથી પણ આવી શકે છે. આ વાયરસ મર્સ વાયરસના જ એક ઉપવંશથી સંબંધિત છે. જે પહેલા પણ ઘાતક સાબિત થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ આ વાયરસના માનવ કોશિકાઓ સાથે જોડાવવાની ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે માણસો વચ્ચે કેટલો ઝડપથી ફેલાઈ શકે છે.
ગ્વાંગઝૂ લેબોરેટરી ગ્વાંગઝૂ એકેડમી ઓફ સાયન્સીસ, વુહાન યુનિવર્સિટી અને વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ આ વાયરસ પર અભ્યાસ કર્યો છે. તેમનો રિપોર્ટ હાલમાં જ સેલ નામના મેગેઝીનમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ ચેતવ્યા છે કે એચકેયુ૫-સીઓવી-૨ માણસોને સંક્રમિત કરી શકે છે. આથી તેના પર આગળ વધુ રિસર્ચ કરવાની જરૂર છે. આ નવા વાયરસના ફેલાવવાની શક્યતાઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર નિગરાણી અને સતર્કતા વધારવાની જરૂર છે.