Bhavnagar,તા.15
સરકારી તંત્રમાં કડક અધિકારી હોય ત્યારે કામગીરી ઝડપી થતી હોય છે પરંતુ અધિકારી બદલાયા બાદ કામગીરીમાં ધાંધીયા જોવા મળતા હોય છે, તેવુ જ હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળ્યુ છે. પૂર્વ કમિશનર દ્વારા દરરોજ રજકા ડ્રાઈવની કામગીરી કરવામાં આવતી હતી અને દંડ ફટકારવામાં આવતા હતો પરંતુ હાલ રજકા ડ્રાઈવની કામગીરી પરિણામી લક્ષી થતી ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
ભાવનગર શહેરમાં હાલ ઠેર ઠેર રજકાનું વેચાણ થઈ રહ્યુ છે પરંતુ મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી, જેના પગલે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અને ગંદકી પણ થતી હોય છે. પૂર્વ કમિશનર ઉપાધ્યાય રજકા ડ્રાઈવની કામગીરી દરરોજ કરાવતા હતા અને દંડ વસુલી રજકો જપ્ત કરવામાં આવતો હતો પરંતુ તેઓની બદલી થઈ ગયા બાદ રજકા ડ્રાઈવની કામગીરી ધીમી પડી ગઈ હોવાનુ જાણવા મળેલ છે. મહાપાલિકાનું તંત્ર હાલ કેટલોક દંડ વસુલી સંતોષ માને છે તેથી રજકાનું વેચાણ કરનારાઓને રાહત થઈ ગઈ છે. નવા કમિશનર આવ્યા બાદ રજકા ડ્રાઈવની કામગીરી ઓછી થઈ રહી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે પરંતુ મહાપાલિકાના અધિકારીએ રજકા ડ્રાઈવની કામગીરી દરરોજ કરવામાં આવી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરાયણ પર્વમાં રજકાનું વેચાણ વધતુ હોય છે તેથી આવતીકાલે મંગળવારે ઠેર ઠેર રજકાનું વેચાણ થશે તેમ જાણવા મળેલ છે ત્યારે મહાપાલિકાનું તંત્ર કડક પગલા લે છે કે નહીં ? તેની રાહ જોવી જ રહી.
મંગળવારે મકરસંક્રાંતિના પાવન પર્વ દરમિયાન હિન્દુ ધર્મમા ગૌ માતાને ચારો ખવડાવીને પુણ્ય મેળવવાનું ધામક મહત્વ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રસ્તા પર રખડતી અને બિન-વારસી ગાયોને પકડીને તેમનો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળામાં નિભાવ કરવામાં આવે છે. શહેરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, અખિલેશ સર્કલ, બાલા હનુમાન મંદિર પાસે અને કુંભારવાડા ખાતે ૪ ગૌશાળા આવેલ છે જે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે. તો શહેરના તમામ નાગરિકને આ મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના અવસરે મહાનગરપાલિકાની ગૌશાળામાં રહેલ આ બિનવારસી ગાયોને ચારો નાખી ગૌમાતાની સેવા સાથે પુણ્ય મેળવવા અને ભાવનગર શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.