Bhavnagar,તા.03
ઘોઘાના હાથબ ગામે ઘરસંસારના કારણે મહિલાએ પોતાની બે બાળકીઓ સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મોટી બાળકી બાદ તેની માતાનું પણ નિધન થતાં પોલીસે મહિલાના પિયરપક્ષ દ્વારા નોંધેલી ફરિયાદમાં આપઘાત માટે દુષ્પ્રેરણની કલમ ઉમેરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
ઘોઘાના હાથબ ગામે ઘરકંકાસના કારણે નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલે તેમની બે બાળકીઓ સાથે હાથબ બંગલા પાસે આવેલા જંગલ વિસ્તારમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોટી દિકરી પ્રતિક્ષાબેન (ઉ.વ.૯)નું સારવાર દરમિયાન મોત થયાના ગણતરીના કલાકોમાં માતા નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલ (ઉ.વ.૩૧)નું પણ હોસ્પિટલ બિછાને નિધન થતાં બંને પરિવારમાં ગમગીની વ્યાપી છે. બીજી તરફ મૃતક મહિલાના પિતાએ સાસરિયાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદમાં પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણની કલમ ઉમેરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી દિવસોમાં મહિલાના સાસુ-સસરા અને દિયરની અટકાય કરવામાં આવશે.