Bhavnagar,તા.18
ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં હાથ ધરેલી ડિમોલિશન કાર્યવાહીના કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં રહેતાં ઝુંપડપટ્ટીધારકો, મફતનગર વસાહતીઓ તથા આવાસ વિહોણાં જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ અન્યથા ડિમોલિશન કાર્યાવહી સ્થિગત રાખવાની માંગ સાથે આજે ઝુંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.મહત્વપૂર્ણ છે કે, આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલાં અંદાજે ૨૦ હજારથી વધુ વ્યકિગત માંગણી પત્રને કલેકટરના ટેબલ પર મુકતાં કલક્ટરનું ટેબલ માંગણીપત્રના જથ્થાથી છલકાઈ ગયું હતું.
ઝુંપડપટ્ટી વસાહત હીત રક્ષા સમિતિએ કલેકેટરને પાઠવેલાં આવેદનમાં વિગતે જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ શહેરમાં વિકાસના નામે ઠેર-ઠેર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત, તંત્ર દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજ્ક્ટ અંતર્ગત પણ હાલ નદીકાંઠાના વિસ્તારોની આસપાસના ઝુંપડા તથા કાચા-પાકા મકાનો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વર્ષોથી આ સ્થળે રહેતાં વસાહતીઓની રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કર્યા વગર તંત્રએ શરૂ કરેલી કામગીરીના કારણે અંદાજે ૨૦ હજારથી પરિવારો બેઘર બની જાય તેવી દારૂણ સ્થિતિ સર્જાઈ છે. આ તકે, આ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી ૨.૦ હાઉસિંગ ફોર ઓલ મિશનની જોગવાઈ અનુસાર જે લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોય તેમને રાજય સરકાર વારસાગત પરંતુ બિન તબદીલપાત્ર જમીન અધિકારો (લીઝ પટ્ટા) કરી આપે તેવી માંગ કરવામાં આવી હતી.
ઉપરાંત આવેદનમાં શહેરી વિસ્તારમાં આવેલી ઝુંપટપટ્ટીનું જે તે સ્થળે પૂનઃ સ્થાપન કરવા, અહીં વસતાં કુંટુંબોને પ્રાથમિક સુવિધા સાથેના બે રૂમ, રસોડું, બાછરૂમ તથા જાજરૂંવાળું મકાન ઉપલબ્ધ કરાવવા, ૧૫ વર્ષ બાદ લાભાર્થીને માલિકી હક્ક આપવા તથા શહેરના સામાજિક, આર્થિક તથા પાર્યાવરણમાં ગુણાત્મક સુધારો કરી તેમની જીવનશૈલી સ્વચ્છ અને સ્વાસ્થયપ્રદ બને તે રીતે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
આ ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝુંપડપટ્ટી પૂનઃ વસન યોજના અમલી બનાવવાની માંગ સાથે આવેદનમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, મ્યુનિ.કોર્પોરેશન કે વિકાસ સતા મંડળ કક્ષાએ ઝુંપડપટ્ટીના પૂનઃ વસન માટે ૮ સભ્ય સંખ્યા ધરાવતી સયુંક્ત નિયત સત્તા મંડળની રચના કરવામાં આવે, ઝુંપડપટ્ટી પૂનઃ વસન માટે ઝુંપટપટ્ટી તથા મફતનગર વિસ્તારમાં રહેતાં લાભાર્થી પરિવાર, કુટુંબની યાદી બનાવી તેની સમીક્ષા કરવામાં આવે, આ જ સ્થળે પૂનઃ વસન માટે યોજના ઓ ઘડવામાં આવે તથા તેના સુચારૂં આયોજન માટે ગૃહ હાઉસિંગ યોજના કે સહકારી હાઉસિંગ યોજનાનું અમલીકરણ કરવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી હતી. અંતમાં આ મામલે યોગ્ય ઉકેલ આવે ત્યાં સુધી શહેરમાં ચાલતી વસાહતોના ડિમોલિશનની કાર્યવાહી સ્થિગત કરવા પણ માંગ ઉચ્ચરવામાં આવી હતી. સમિતિએ આ સાથે વ્યકિતગત માંગણી સાથેની ૨૦ હજાર અરજી પણ આવેદનના અંતે જોડી હતી. જેના પગલે જિલ્લા કલેકટરનો રૂમ અરજીઓના જથ્થાના કારણે ભરાઈ ગયો હતો.