Bhuj,તા.09
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની સીમમાં વાડી ઉપર ૫૪૦ ફૂટ ઉંડા બોરમાં ફસાયેલી રાજસ્થાનના શ્રમિક પરિવારની દિકરી ઈન્દિરાના મોતનું રહસ્ય બીજા દિવસે પણ વણઉકેલ્યું રહ્યું છે. ઈન્દિરાએ આપઘાત કર્યો હતો કે હત્યા થઈ કે પછી બીજું જ કારણ હશે? તે જાણવા પધ્ધર પોલીસ સહિત સ્થાનિક પોલીસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.
ઈન્દિરા મીણા નામની ૨૧ વર્ષિય યુવતી સોમવારે વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં ૫૪૦ ફુટ બોરમાં ફસાયા બાદ તેને બહાર કાઢવા માટે એનડીઆરએફ, ફાયર, આર્મી, બીએસએફ, ડીઝાસ્ટર, પોલીસ તંત્ર સહિત સ્થાનિક અનુભવી લોકોએ ૩૨ કલાકથી વધુ મહેનત કરી હતી. જો કે, રેસ્કયુ ઓપરેશનમાં નિરાશા સાંપડી અને ઈન્દિરા જીવતી મળી ન હતી. તેના મૃતદેહને પી.એમ. અર્થે જામનગર મોકલાયો છે.
ઈન્દિરાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે સહિતના કારણો જાણવા પધ્ધર પોલીસ તેમજ એલસીબી સહિતની એજન્સીઓએ જુદી જુદી દિશામાં તપાસ જારી રાખી છે. જામનગરથી પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે તે વચ્ચે મૃતદેહ મળ્યાના બીજા દિવસે ખરેખર આ કિસ્સામાં શું બન્યું છે ? તેની હકીકતો હજુ ખુલવા પામી નથી. યુવતીના ભાઈની પુછપરછ કરાઈ હતી. આ સિવાય પરિવારના અન્ય સભ્યોની પણ પૂછપરછ થઈ રહી છે. જો કે, હજુ બનાવનું સાચું કારણ બહાર આવ્યું નથી.