Jammu And Kashmir,તા.04
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે અગાઉ જ રાજકીય પક્ષોના ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મુદ્દે નેશનલ કોન્ફરન્સે નિવેદન આપતાં અમુક રાજકારણીઓ ચિંતિંત બન્યા છે. નેશનલ કોન્ફરન્સે બેકડોર I.N.D.I.A. ગઠબંધનની બહાર એક અલગ ગઠબંધનની ચર્ચાઓને નકારી છે.
નેશનલ કોન્ફરન્સે જણાવ્યું છે કે, અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમારા માટે કરવામાં આવેલા આવા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરો. અમે આવી અફવાઓને ફગાવીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે આવી ચર્ચાઓ પર વિશ્વાસ ન કરો. અમે I.N.D.I.A.થી અલગ ગઠબંધન કરવાની કોઈ યોજના ધરાવતા નથી.
શ્રીનગરના પૂર્વ મેયરે દાવો કર્યો હતો
શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટૂએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ મૂકી દાવો કર્યો હતો કે, ‘ફારુક અબ્દુલ્લા પહેલગામમાં ભાજપના પ્રતિનિધિને એક નહીં પરંતુ બે વાર મળ્યા છે. અંતે પહેલગામમાં બન્ને વચ્ચે કઈ સમજૂતી અંગે ચર્ચા થઈ છે. નેશનલ કોન્ફરન્સે ભાજપ વિશે જે કહ્યું હતું તે તમામ બાબતોનું શું? જ્યારે તેમનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, ત્યારે અટકળો શરુ થઈ ગઈ કે શું નેશનલ કોન્ફરન્સ ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહી છે?’
મટ્ટૂ પહેલાં પણ અનેક અટકળો
મટ્ટૂ પહેલાં અનેક લોકોએ અટકળો લગાવી હતી કે, જો ભાજપ, એનસી અને કોઈપણ પક્ષને પૂર્ણ બહુમત ન મળ્યો તો ગઠબંધનમાં મોટો ફેરફાર આવી શકે છે. આ સ્થિતિમાં વિરોધી ભાજપ અને નેશનલ કોન્ફરન્સ ભેગા થઈ શકે છે. મટ્ટૂના ટ્વિટ પર એક યુઝરે લખ્યું હતું કે, ‘આ અફવા છે કે તેમાં કંઈક તથ્ય છે.’ જેનો જવાબ આપતાં મટ્ટૂએ કહ્યું કે, ‘અફવા? પહેલગામમાં ફારુક અબ્દુલ્લા એકલા ભાજપના લોકો સાથે વાત કરી રહ્યા છે. હવે તેનો જવાબ નેશનલ કોન્ફરન્સને આપવા દો, બાદમાં હું કઈ જગ્યાએ, કયા સ્થળે અને શું વાત થઈ હતી, તેની માહિતી રજૂ કરીશ.’