Rajkot,તા.21
રાજકોટ મનપાની જનરલ બોર્ડ મિટીંગમાં આજે ભાજપના ૧૪ અને કોંગ્રેસના એક સહિત કુલ ૧૫ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. જેમાં ૧૩ કોર્પોરેટર રજા રીપોર્ટ મુકીને ગેરહાજર રહ્યા હતા અને બે કોર્પોરેટર રજા રીપોર્ટ વિના ગેરહાજર રહ્યા હતા.
કુલ ૧૩ કોર્પોરેટર રજા રીપોર્ટ મુકીને ગેરહાજર રહ્યા હતા જેમાં દેવાંગ માંકડ, જયમીન ઠાકર, બિપીન બેરા, આશાબેન ઉપાઘ્યાય, કુસુમબેન ટેકવાણી, વર્ષાબેન રાણપરા, ચેતન સુરેજા, મિલત લાઠીયા, વિનુ ધવા, સંજયસિંહ રાણા, અનિતા ગૌસ્વામી અને કોંગ્રેસના ભાનુબેન સુરાણીનો સમાવેશ થાય છે. જ્યારે કબીનેટ મંત્રી કમ કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને વજીબેન ગોલતર સહિતના બે કોર્પોરેટર રજા રીપોર્ટ મુકયા વિના ગેરહાજર રહ્યા હતા. દરમિયાન જનરલ બોર્ડ મીટીંગ પૂર્વે મળેલી પાર્ટી સંકલનની બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા તમામ કોર્પોરેટરોને એવો આદેશ અપાયો હતો કે હવેથી ભાજપના તમામ કોર્પોરેટરોએ પક્ષના સંગઠન માળખાના તેમજ તમામ સરકારી કાર્યક્રમોમાં અચૂક હાજરી આપવાની રહેશે. મનપાની ચૂંટણી નજીકમાં હોય હવે કોઈની ગેરહાજરી ચલાવી લેવાશે નહીં.