Surat- Vadodara,તા.08
રાજકીય પક્ષો દ્વારા તેમને મળેલા દાન અંગેના રિપોર્ટ જાહેર થયા છે. જેમાં સુરતમાં મહાનગરપાલિકામાં અને વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાકટર ધરાવતી ઘણી એજન્સી, બ્રિજ સહિતના વિવિધ કોન્ટ્રાકટરો, કન્સલટન્સીના નામો લિસ્ટમાં છે. જેમણે 1 લાખ રૂપિયાથી લઈને 7 કરોડ રૂપિયાથી વધુનુ દાન ભાજપને કર્યું છે. રાજકીય પક્ષોને દાન મળ્યું છે, તેમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાંથી આશરે 60 કરોડનું દાન ભાજપને મળ્યું છે. દાતાઓની સંખ્યા આશરે 300 છે. દાન આપનારા લોકોમાં મોટા ભાગની કન્સ્ટ્રક્શન કંપનીઓ છે. જો કે અમુક મોટી કંપનીઓ પણ છે, જેનો દાનનો આંક 10 કરોડથી સુધીનો વ્યક્તિગત છે. જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, તેમાંથી ઘણી વડોદરા કોર્પોરેશન સાથે સંકળાયેલી છે એટલે કે કોર્પોરેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના રોડ, ગટર, પાણી, વરસાદી ગટર સહિતના કામો કરે છે અને તેમના ટેન્ડરો પક્ષને ડોનેશન આપવા બદલ મંજૂર થતા રહે છે.
દેશના રાજકીય પક્ષોને નાણાંકીય વર્ષ 2023-24માં મળેલા દાનના રિપોર્ટ જાહેર થયા છે. ગુજરાતમાંથી ભાજતીય જનતા પાર્ટીને મળેલા દાનના લિસ્ટમાં સુરતની કંપની, કોન્ટ્રાકટરો તેમજ વ્યક્તિગત રીતે દાન આપનારાના નામો સામેલ છે. સુરતમાંથી દાન આપનારાઓ મોટાભાગે સુરત મહાનગરપાલિકાનાના કોન્ટ્રાકટરો હોવાનું લિસ્ટ પરથી જણાય છે. ફ્લાયઓવર બ્રિજ, નદી બ્રિજ બનાવતા કોન્ટ્રાકટરો ઉપરાંત રોડ, લાઇટ, હ્યુમન રિસોર્સ કોન્ટ્રાકટરો, ગાર્બેજ કલેકશ કોન્ટ્રાકટરો તેમજ કન્સલ્ટીંગ એજન્સીઓનો સમાવેશ થાય છે. તેમના દ્વારા અપાયેલા રાજકીય દાનની રકમ 1 લાખ રૂપિયાથી લઈને 7 કરોડ રૂપિયા સુધીની છે. દાન આપનારાઓના નામના લિસ્ટ જાહેર થયા બાદ સુરતના સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે. આ ઉપરાંત સોસાયટીઓ, ફ્લેટ અને કોમ્પ્લેક્સ બનાવતા બિલ્ડરો પણ દાન આપવામાં પાછળ રહ્યા નથી. વ્યક્તિગત દાતાઓએ ભાજપને દાન આપવામાં પાછીપાની કરી નથી. આવા લોકોનો દાનનો આંકડો 21 હજારથી 51 હજાર સુધીનો છે. આ સિવાય એક ખાનગી યુનિવર્સિટીએ પણ ડોનેશન આપ્યું છે તેમજ વડોદરા જિલ્લાના પોર, પાદરા અને સાવલી વિસ્તારની કેટલીક મોટી કંપનીઓ દ્વારા પણ ભાજપને ડોનેશન મળ્યું છે.