New Delhi,તા.25
દેશમાં કેટલાંક વખતથી અર્થતંત્ર તથા ધિરાણ વિશેના વિરોધાભાસી રિપોર્ટ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાયોરીટી ધિરાણનાં નિયમોમાં બદલાવ કરવામાં આવે છે. ધિરાણ મર્યાદામાં વધારો કરીને અર્થતંત્રને નવો બૂસ્ટર ડોઝ આપવા માટે કરાયેલા આ બદલાવનો અમલ 1લી એપ્રિલથી થશે. ધિરાણ માપદંડની યોગ્યતાનો વિસ્તાર કરવા ઉપરાંત ટારગેટમાં પણ વધારો કરાયો છે.
પ્રાયોરીટી સેકટર ધિરાણ નિયમોનાં બદલાવમાં હોમલોન પણ સામેલ છે. પ્રોપર્ટી મર્યાદામાં વધારો કરી દેવાયો છે. 50 લાખની વસતી ધરાવતા શહેરમાં 50 લાખની લોન પાત્ર ગણાશે.
જે મર્યાદા હાલ 35 લાખની હતી 10 થી 50 લાખની વસતી ધરાવતી પ્રોપર્ટીમાં 45 લાખની લોન પ્રાયોરીટી ધિરાણની વ્યાખ્યામાં આવશે.10 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો માટે આ મર્યાદા વધારીને 35 લાખ કરવામાં આવી છે.
ખેડુતોને પ્રવાહિતતામાં મદદ મળે તે માટે કૃષિલોન નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની લોન મર્યાદા વધારીને 35 કરોડ કરવામાં આવી છે.
નબળા અને મહિલા વર્ગ માટેનાં લોન નિયમોમાં પણ બદલાવ છે. વ્યકિતગત મહિલાને લોન મર્યાદા વધારીને બે લાખ કરવામાં આવી છે. પ્રાયોરીટી સેકટરમાં કૃષિ, એમએસએમઈ નિકાસ, શિક્ષણ, હાઉસીંગ, સામાજીક ઈન્ફ્રાસ્ટ્રકચર તથા રિન્યુએબલ એનર્જી સામેલ છે.
રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે ધિરાણ મર્યાદા વધારાથી અર્થતંત્રને ફાયદો થશે. મહિલા લાભાર્થીઓને અર્બન સહકારી બેંકમાંથી લોન મર્યાદા દુર કરવામાં આવી છે. વ્યકિતગત પરિવાર માટે લોન મર્યાદા 10 લાખ કરવામાં આવી છે.