Upleta,તા.05
ઉપલેટા શહેરમાં ગઈકાલે શનિવારની રાત્રે રિલાયન્સ ટ્રેન્ડ મોલ પાસે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ગાળાગાળી કરવા બાબતે માથાકૂટ થયા બાદ મારામારી સુધી વાત પહોંચી હતી અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, બાદમાં સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું હતું અને અમુક ભડકાઉ મેસેજ વાયરલ થતાં બે કોમના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડયા હતા અને તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. જે મામલે અલગ-અલગ ચાર ફરિયાદ નોંધાવાઈ હતી.બીજી તરફ બે-ચાર યુવાનો વચ્ચે અંગત બાબતે થયેલી સામાન્ય માથાકૂટને કોમવાદી સ્વરૂપ આપીને પોલીસ સ્ટેશન પાસે જ લોકોના ટોળા એકત્ર કરી ભડકાઉ નારા લગાવવા બદલ ખુદ પોલીસે ફરિયાદી બનીને જીતુ કરસનભાઈ સુવા, મેહુલ કરસનભાઈ સુવા, મયુર દિનેશભાઈ સોલંકી, અશોક નારણભાઈ ચંદ્રવાડીયા, ઈશાન ધર્મેન્દ્રભાઈ ચુડાસમા, દીપક નારણભાઈ ચૌહાણ, જગદીશ છગનભાઈ ઘોરેચા, કેતન ડેડાણીયા તેમજ અજાણ્યા ૧૫૦ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડની તજવીજ આરંભી હતી. આવા માહોલમાં આજે રવિવારે સવારે જીતુ કરસનભાઈ સુવા નામના વ્યક્તિ દ્વારા એક કોમના યુવકના ઘર પર બીજી કોમના લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી પોલીસે આ શખ્સ વિરૂધ્ધ પણ ભડકાઉ મેસેજ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
ઉપલેટામાં અવાર-નવાર બનતા નજીવા બનાવોને વારંવાર કોમવાદ પર લઈ જનાર વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ગઈકાલની માથાકૂટમાં પણ પોલીસ તરફથી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટના બાદ હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કોમવાદ ફેલાવનાર ભલે હિન્દુ હોય કે મુસલમાન હોય, કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઉપલેટામાં શનિવારે રાત્રે બે-ચાર યુવકો વચ્ચે થયેલી માથાકૂટ બાદ આજે સવારે પણ બે જૂથ વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી અને અને આજે રવિવારે આખો દિવસ અજંપાભરી શાંતિ રહી છે. જેથી ધોરાજી અને ગોંડલથી પણ પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે બન્ને જૂથની સામસામી ચાર-ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. જ્યારે પોલીસે પણ આઠ શખ્સોના નામ સહિત ૧૫૦થી વધુ લોકોના ટોળા સામે તંગદિલીની સ્થિતિ ઉભી કરવા તેમજ અન્ય એક ફરિયાદમાં કોમી ઘર્ષણ ઉભું થાય એવા મેસેજ વાયરલ કરવા અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે શનિવારે મારામારીની ઘટનામાં મેહુલ કરસનભાઈ ચંદ્રવાડીયાએ સામાપક્ષનાં તૈયબ સુરીયા, એઝાઝ માકા, અલ્તાફ ઉર્ફે જુબેર અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગાળાગાળી અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેની સામે અલ્તાફ અલીમોહમ્મદભાઈ સુરીયા દ્વારા મેહુલ ચંદ્રવાડીયા તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ સામે પોતાના કૌટુંબિક ભાઈએ બોલેલી ગાળો બાબતે માથાકૂટ કરીને મારામારી કર્યાની ફરિયાદ લખાવી હતી. જે મારામારીમાં અલ્તાફ ઉર્ફે જુબેર અલીભાઈ સુરિયા નામના યુવાને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ ઉપલેટા બાદ ધોરાજી અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો.