kadi,તા.૨૦
કડીનો એક માથાભારે શખ્સ કલેક્ટરને છેતરવા નીકળ્યો હતો. પંરતુ તેનો દાવ ઉંધો પડ્યો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આમ સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર અને આઇપીએસ અધિકારીના આર્શીવાદથી માથાભારે બનેલા કડી તાલુકાના વેકરા ગામના મેહુલ રઘનાથભાઈ રબારી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કરોડો રૂપિયાની જમીનમાં ખેલ કરનારો અને અમદાવાદના બિલ્ડરો પર હુમલો કરનાર મેહુલ રબારી કાયદાની જાળમાં ફસાયો છે અને આગામી દિવસોમાં કાયદાનો સંકજો વધુ કસાશે.
કડી તાલુકાના વેકરા ગામે ખેતીની જમીનમાં સ્વીમીંગ પુલ સાથેનું ભવ્ય ફાર્મ હાઉસ બનાવનારા મેહુલ રબારી મહેસાણા કલેક્ટરને છેતરવા જતાં ભરાઈ ગયો છે. ભ્રષ્ટાચારી આઇપીએસ અને સ્થાનિક પોલીસે હવે મેહુલ રબારીથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે.વેકરાના પૂર્વ સરપંચ તરીકે ઓળખતો મેહુલ રઘનાથભાઈ રબારી છેલ્લાં કેટલાંય વર્ષોથી જમીન દલાલીનું કામ કરે છે. અમદાવાદ અને ગાંધીનગરને અડીને આવેલો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જમીનના વેપારમાં તેજી આવતા મેહુલનો જમાનો આવી ગયો. જમીન દલાલ મેહુલ રબારી રૂપિયાના જોરે સ્થાનિક પોલીસ અને મહેસુલ અધિકારીઓ બાદ આઇપીએસ આઇએએસ અધિકારીઓના સંપર્કમાં આવ્યો અને તે માથાભારે બની ગયો.
અધિકારીઓના આર્શીવાદથી મેહુલ રબારી કરોડોની કિંમતની જમીનમાં વિવાદ નાંખીને બિલ્ડરો/જમીન માલિકોને પરેશાન કરવા લાગ્યો. તાજેતરમાં મેહુલ રબારીએ હુમલાખોરોને એકઠાં કરીને અમદાવાદના બિલ્ડર મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલે ઉર્ફે મુખી પર જીવલેણ હુમલો પણ કર્યો.અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્વોએ મચાવેલા આતંક બાદ અસામાજિક તત્વો સામે અભિયાન શરૂ કર્યું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ૧૦૦ કલાકમાં ગુંડા તત્વોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
મહેસાણા જિલ્લા પોલીસે બનાવેલી ગુંડા તત્વોની યાદીમાં મેહુલ રઘનાથભાઈ રબારીનું નામ સામેલ હતું. આમ છતાં વૉન્ટેડ મેહુલ ભ્રષ્ટાચારી આઇપીએસના હાથ હોવાથી બિનધાસ્ત ફરતો રહ્યો અને બબ્બે બિલ્ડરોની હત્યા કરવા સુધીનો પ્રયાસ પણ કર્યો. અત્રે નોંધનીય છે કે, હુમલાની ઘટના બાદ રજા પર ઉતરી ગયેલા બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ યોગરાજસિંહ અભેસિંહ પરમારની તાજેતરમાં ડીઆઈજી તરૂણ દુગ્ગલે બદલી કરી છે. અગાઉ એક મહિલા પીએસઆઈની જિલ્લા ટ્રાન્સફર તેમજ ત્રણ વહીવટદારોની બદલી કરવામાં આવી છે.બાવલુ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં જેલવાસ ભોગવી રહેલા મેહુલ રબારી સામે વધુ એક ફરિયાદ થઈ છે. ગત ૨૮ માર્ચના રોજ મેહુલ રબારીએ વેકરા ગામે આવેલી ખેતીની જમીન પૈકીનો કેટલોક હિસ્સો બીનખેતી કરવા માટે મહેસાણા કલેકટર ઓફિસમાં અરજી કરી હતી. મહેસાણા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ ને કરવામાં આવેલી અરજીમાં જમીનનો ઉપયોગ હાલ ખેતી માટે થઈ રહ્યો હોવાનું દર્શાવી કેટલાંક ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા.