New Delhi,તા.14
પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત સોંપ્યા છે. પાકિસ્તાની સેનાએ અટારી વાઘા બોર્ડરના માર્ગે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અટકાયત કરાયેલા બીએસએફ જવાનને પરત ભારતને સોંપ્યા છે. તે છેલ્લા 20 દિવસથી પાકિસ્તાનના કબજામાં હતાં. પૂર્ણમ કુમારની પત્ની રજનીને આશા હતી કે, ડીજીએમઓની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેણે જણાવ્યું કે, ભારતીય સેનાએ 3 મેના રોજ એક પાકિસ્તાની સેનાના જવાનની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી. ત્યારે લાગ્યું હતું કે, કદાચ મારા પતિને મુક્ત કરાશે. પરંતુ એમ ન બન્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફોન કરી સંભવિત તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને આજે સવારે 10.30 વાગ્યે ભારતને સોંપવામાં આવ્યા હતાં.
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી. તે સમયે 23 એપ્રિલના રોજ બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચી ગયા હતા. જ્યાં પાકિસ્તાની સેનાએ અટકાયત કરી હતી. પંજાબના ફિરોજપુર સેક્ટરમાં તૈનાત પૂર્ણમની અટકાયત થતાં આર્મી અને પરિવારની ચિંતા વધી હતી.