New Delhi,તા.05
ભારત અને કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં હિંદુઓ પર હુમલો થયા બાદ ટ્રુડો સરકારની ચોતરફ ટીકા થઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું છે કે, ‘હું કેનેડામાં હિંદુ મંદિર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા અને ધમકાવવાનો કાયરતાપૂર્વક પ્રયાસ પણ તેટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતને ક્યારે નબળો નહી પાડી શકે. અમે કેનેડા સરકાર સમક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા તેમજ કાયદો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.’
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ભારત ચિંતિત : વિદેશ મંત્રાલય
કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું છે કે, ‘ગઈકાલે બ્રેમ્પટનના ઓંટારિયોમાં હિંદુ સભા મંદિર પર ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓએ હુમલો કર્યો હતો, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આવા હુમલાઓથી પૂજા સ્થળોને બચાવવા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરીએ છીએ. અમે સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે, હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવે. અમે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ.’
મંદિર પર હુમલો થયા બાદ ટ્રુડોએ પણ આપી પ્રતિક્રિયા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલા અંગે કહ્યું છે, કે ‘બરેમ્પટનમાં હિન્દુ મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. ઘટનાસ્થળ પર લોકોની સુરક્ષા તથા તપાસમાં ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે સ્થાનિક પોલીસનો આભાર.’
નોંધનીય છે કે કટ્ટર ખાલિસ્તાન સમર્થકો અવારનવાર હિન્દુ મંદિર પર હુમલો કરતાં રહે છે. આ વર્ષે જ જુલાઇ મહિનામાં જ આલ્બર્ટામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. એડમોન્ટનમાં પણ સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી નારા લખવામાં આવ્યા હતા.
હિન્દુઓ પર હુમલા બાદ કેનેડાનું રાજકારણ ગરમાયું
હિન્દુઓ પર હુમલા બાદ કેનેડાનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ ટ્રુડો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેનેડાના વિપક્ષના નેતા પોઈલિવરે X પર પોસ્ટ કરીને કહ્યું, કે ‘હિન્દુ મંદિરમાં ભક્તો પર આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયન્સને શાંતિપૂર્વક પોતાની આસ્થા અને ધર્મનું પાલન કરવા દેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી આ ઘટનાને વખોડે છે. હું અરાજકતા વિરુદ્ધ લોકોને એક કરીશ અને તેને ખતમ કરીશ.’
હિંદુ મંદિરમાં ભક્તો પર હુમલો થતા ટ્રુડો સરકારની ચોતરફ ટીકા
કેનેડામાં કટ્ટર ખાલિસ્તાનીઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અવારનવાર મંદિરોમાં તોડફોડ બાદ હવે તો ભક્તો પર પણ હુમલા શરૂ થઈ ગયા છે. બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓએ લાઠી-ડંડા વડે ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ચોતરફ ટીકા થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં કેનેડાની ટ્રુડો સરકાર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.