Canada,તા.30
કેનેડા જવાના અભરખા રાખતાં ભારતીયો માટે માઠા સમાચાર છે. ઘણા લોકો વિઝિટર વિઝા પર કેનેડા જઈ ત્યાં જઈને વર્ક પરમિટ મેળવવાનો સરળ રસ્તો અપનાવી કેનેડા સ્થાયી થતાં હોય છે. જેની જાણ કેનેડિયન સરકારને થતાં તેણે હવે કેનેડામાં વિઝિટર વિઝા પર રહેતાં લોકોને વર્ક પરમિટ આપવાની બંધ કરી છે.
સરળ પોલિસીનો લાભ હવે બંધ
વાસ્તવમાં કેનેડાએ કોવિડ-19 મહામારી દરમિયાન ઓગસ્ટ, 2020માં એક પોલિસી ઘડી હતી, જે હેઠળ વિઝિટર વિઝા પર કેનેડામાં રહેતાં લોકો વતન પાછા જવા અસક્ષમ હોવાથી તેમને કામ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. તેઓ કેનેડામાં રહીને જ 12 મહિનાની વર્ક પરમિટ મેળવી શકતા હતાં. આ પોલિસી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં બંધ કરવાની જોગવાઈ હતી. પરંતુ કેનેડિયન સરકારે તેને વહેલી જ રદ કરી દીધી છે. ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિજનશીપ કેનેડા (IRCC)એ જણાવ્યા અનુસાર, આ નિર્ણય વિઝિટર વિઝા પર રહેતાં રહેવાસીઓની સંખ્યાને નિયંત્રણમાં લાવવા તેમજ ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતા જાળવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે, 28 ઓગસ્ટ પહેલા પોલિસી હેઠળ સબમિટ કરવામાં આવેલી અરજીઓ પર પ્રક્રિયા ચાલુ રહેશે.
કેમ ભર્યું પગલું?
કેનેડાએ જણાવ્યું હતું કે, ઘણા વિદેશી નાગરિકો આ પોલિસીનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેઓ સતત વર્ક વિઝા લંબાવી કેનેડામાં બિનસત્તાવાર વસવાટ કરી રહ્યા હોવાની જાણ થતાં આ પોલિસીનો લાભ વહેલા બંધ કરી દેવામાં આવ્યો છે. જેની મદદથી કેનેડામાં કામચલાઉ ધોરણે કામ કરતાં વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો થશે. અને કેનેડાનો ફુગાવો કાબુમાં લેવા સહાય મળશે.
બેરોજગારીમાં વધારો થયો
નીચા પગાર ધોરણ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP)ના નીચા પગાર-ધોરણ હેઠળ થતી અમુક લેબર માર્કેટ ઈમ્પેક્ટ અસેસમેન્ટ (LMIA) અરજીઓ પણ કોઈ પ્રક્રિયા ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે સેન્સસ મેટ્રોપોલિટન એરિયામાં બેરોજગારીનો દર 6 ટકાથી વધ્યો છે. જેથી કેનેડાએ TFWP પર કામ કરતાં વિદેશી કામદારોની સંખ્યાને નિયંત્રણમાં લેવા નિર્ણય લીધો છે.