New Delhi,તા.16
રોહિત શર્માનું ટેસ્ટ-રિટાયરમેન્ટ અને જસપ્રીત બુમરાહની ઈન્જરીની શક્યતાઓને કારણે ભારતીય ટેસ્ટ-ટીમના કેપ્ટન તરીકે શુભમન ગિલ અને વાઇસ-કેપ્ટનના પદ માટે રિષભ પંતનું નામ ચર્ચામાં સૌથી આગળ છે. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમ અને ભૂતપૂર્વ સિલેક્શન કમિટીના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે આ મુદે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ’મને નથી લાગતું કે તેનું (શુભમન ગિલ) હજી સુધી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ચોક્કસ છે. તમે જસપ્રીત બુમરાહને કેપ્ટન્સી સોંપી શકો છો અને જો ટેસ્ટ-મેચ તે નથી રમી શક્તો એમાં તમે કે. એલ. રાહુલને જવાબદારી આપી શકો છો.
પછી હું કે, એલ. રાહુલ અથવા રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરીશ, કારણ કે તેઓ પ્લેઇંગ ઇલેવનમાં હશે એ નિશ્ચિત છે. આ મારો મત છે. શુભમન ગિલ પર કેપ્ટન્સી લાદવી એ સમજદારીભર્યું નહીં હોય અને તેના બદલે તેણે ટેસ્ટ-ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
તેમણે સાઈ સુદર્શનને ત્રણેય ફોર્મેટનો સારો ક્રિકેટર ગણાવીને તેને સ્ક્વોડમાં સમાવવાની હિમાયત પણ કરી હતી.
વિરાટ કોહલીને ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ-કેપ્ટન ગણાવ્યો
તામિલનાડુના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે ‘જો હું સિલેક્શન કમિટીનો અધ્યક્ષ હોત તો મેં વિરાટને વ્યક્તિગત રીતે વિનંતી કરી હોત બોસ, હું ઈચ્છું છું કે તમે થોડા સમય માટે ભારતનું નેતૃત્વ કરો.
હવે જ્યારે રોહિત પણ નથી, ત્યારે કેપ્ટન્સીની વાત આવે ત્યારે અચાનક એક શૂન્યાવકાશ સર્જાય છે. તેની જાહેરાત પહેલાં હું તેની સાથે વાત કરી લેત કે હું ઇચ્છું છું કે તું આગામી છ મહિના કે એક વર્ષ માટે કેપ્ટન રહે. જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી કામ કરો અને પછી નિવૃત્તિ લો.’ તેમણે વધુમાં કહ્યું કે કોહલી ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ-કેપ્ટન છે.