New Delhi,તા.13
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. અમુક શરતો સાથે 42 દિવસની સ્પેશિયલ રજા લઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્ય ટ્રાંસ્પ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન -NOTTOએ કહ્યું કે, અંગદાન કરનારા કેન્દ્રીય કર્મચારીઓને 42 દિવસની રજા મળી શકે છે.
NOTTO પ્રમુખ ડો. અનિલ કુમારના જણાવ્યા અનુસાર, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે તેના વિશે પહેલા જ આદેશ જાહેર કરી દીધા છે. ડો. અનિલ કુમારે જણાવ્યું છે કે, અમે હાલમાં જ વ્યાપક પ્રસાર અને જાગૃતી માટે વેબસાઈટ પર આ આદેશ અપલોડ કરી દીધા છે. કોઈ દાતામાંથી અંગ કાઢવાની એક મોટી સર્જરી છે. હોસ્પિટલમાં દાખલ થવા અને હોસ્પિટલમાં રજા બાદ ઠીક થવામાં ઘણો સમય લાગે છે. DoPTએ આદેશમાં કહ્યું છે કે, સરકારના વિશેષ કલ્યાણકારી ઉપાય તરીકે અંગદાન કરવાનો નિર્ણય લેનારા કેન્દ્રીય કર્મચારીઓને વધારાની 42 દિવસની સ્પેશિયલ આકસ્મિક રજા આપવાનો નિર્ણય કર્યો છે.
42 દિવસની રજાનો નિયમ દાતાના અંગ કાઢવાની સર્જરીના પ્રકાર પર ધ્યાન આપ્યા વિના લાગૂ થશે. ડીઓપીટીના આદેશમાં કહેવાયું છે કે, વિશેષ આકસ્મિક રજા સામાન્યત: હોસ્પિટલમાં દાખલ થવાના એક દિવસમાં એક વાર લેવામાં આવશે. જો કે જરુરિયાત અનુસાર તે ડોક્ટરની ભલામણ પર સર્જરીના વધુમાં વધુ એક અઠવાડીયા પહેલાથી મળી શકે છે.