New Delhi,તા.26
નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ એલાન આજે ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહ મંત્રાલયે જાણકારી આપી હતી કે પૂર્વ અગ્નિવીરોને BSF, CISF, CRPF, SSB અને RPF ની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. સાથે જ તેમની વયજૂથમાં પણ છૂટ અપાશે.
ITBP ના ડીજીએ જાણકારી આપી
ગૃહ મંત્રાલયના એક ટ્વિટમાં ITBP ના ડીજી રાહુલ રસગોત્રાએ કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને ITBP માં ભરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અગ્નિવીરો તરીકે દળને વેલ ટ્રેઈન્ડ જવાનો મળશે. જે સૈન્ય માટે ઉપયોગી સાબિત થશે. આ જ કારણે આઈટીબીપીમાં ભરતી દરમિયાન અગ્નિવીરોને વય અને શારીરિક કસોટીની પરીક્ષામાં છૂટ અપાશે.
શું લખ્યું છે ટ્વિટમાં?
ગૃહ મંત્રાલયે તેના ટ્વિટમાં લખ્યું છે કે પીએમ મોદી તથા ગૃહ મંત્રીના માર્ગદર્શન માટે લેવાયેલા ઐતિહાસિક નિર્ણય હેઠળ આઈટીબીપીના પૂર્વ અગ્નિવીરોને દળમાં સામેલ કરવા માટે તૈયાર છે. ડીજીએ કહ્યું કે પૂર્વ અગ્નિવીરોને વયજૂથમાં રાહત આપીશું.