Mumbai,તા.28
ટીમ ઈન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ નહીં રમે. જો પીસીબી ટૂર્નામેન્ટનું આયોજન નહીં કરે તો ભારત તેની યજમાની કરવા પણ તૈયાર છે. ICCએ 29 નવેમ્બરે બેઠક બોલાવી છે, જેમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સરકારે BCCIને સ્પષ્ટ કહ્યું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. સરકારે બીસીસીઆઈને આઈસીસીમાં મજબૂતીથી પોતાની દલીલ રજૂ કરવા કહ્યું છે. IICને પાકિસ્તાનની સ્થિતિ અને ખેલાડીઓની સુરક્ષાનું મહત્વ સમજાવવા પણ કહેવામાં આવ્યું છે.
જો પીસીબી સંમત ન થાય તો ભારત ટૂર્નામેન્ટ માટે તૈયાર છે
સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો ઇનકાર કરશે તો ભારત તેની યજમાની કરશે. જો ICC ભારતને હોસ્ટિંગ અધિકારો સોંપશે તો તેને સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવનારી ટીમોના ખેલાડીઓને વિઝા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
પીસીબીએ તમામ ભારતીય મેચો લાહોરમાં યોજવા અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે આનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ PCBએ પણ હાઇબ્રિડ મોડલ અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો.
2008 દરમિયાન મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. સુરક્ષા કારણોસર ICCએ આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.