ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો લઈને કચ્છ સહિત તમામ લીઝો અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવી હતી
Ambaji,તા.૧૭
રાજ્યભરમાં છેલ્લા પખવાડિયાથી ચાલતી ક્વોરી ઉદ્યોગકારોની હળતાલનો આજે અંત આવ્યો છે. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે અગાઉ અનેકવાર ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહતો. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો લઈને કચ્છ સહિત તમામ લીઝો અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે તેઓએ બેઠક કરી હતી. જે બાદ આજે અંબાજી ખાતે માતાજીના દર્શન બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ દ્વારકા દર્શન કર્યા બાદ હડતાળ શરૂ કરવામાં આવી હતી. જેનો આજે અંત આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આજે ક્વોરી એસોસિએશને હડતાળ પૂર્ણ કરી છે. રાજ્યભરના ક્વોરી માલિકો છેલ્લા ૧૫ દિવસથી હડતાળ પર હતા. ત્યારે આજે ૧૦૦૦ ક્વોરી માલિકો અંબાજી મંદિર પહોંચ્યા હતા અને અંબાજી મંદિર ખાતે ક્વોરી માલિકોએ ધજા ચઢાવી અને માતાજીના દર્શન કરીને હડતાળ સમેટી લીધી છે, તેવી જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ૨ ઓક્ટોબરના રોજ દ્વારકાધીશના દર્શન કરીને ક્વોરી માલિકોએ રાજ્યભરમાં હડતાળ શરૂ કરી હતી, જે આજે સમેટી લીધી છે.
મહત્વનું છે કે રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગ બંધ થવાના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા હતા. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નેનો લઈને તમામ જગ્યાઓએ ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજનના કારણસર રાજ્યમાં ૬૦ ટકા જેટલી ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી દેતા આ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.