Gandhinagar,તા.૧૪
ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનિયતા વધે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા.
આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ” નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં, નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન અને પોલીસમાં એફઆઇઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા આઇ-પ્રગતિ પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યા હતા.
ઇ-ગુજકોપમાં તપાસના દરેક તબક્કે ફોર્મ ભરવાનું થતું હોય છે તેમાં એફઆઇઆર દાખલ કરતી વખતે, પંચનામું કરતી વખતે, આરોપીને અટક કરતી વખતે અને કેસની ચાર્જશીટ કરતી વખતે અલગ-અલગ ફોમર્સનો સમાવેશ થાય છે. હવે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો(એસ.સી.આર.બી.) તરફથી ઈ-ગુજકોપમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ ચારે તબક્કાની કામગીરી જયારે પણ પૂર્ણ થાય ત્યારે દાખલ થયેલી એફઆઇઆરના ફરીયાદીને સિસ્ટમ જનરેટેડ એસ.એમ.એસ. મળી જાય છે. આથી ફરીયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણપણે વાકેફ રહે છે.
આ સિસ્ટમ આઇ પ્રગતિ એટલે કે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટીકલી જનરેટેડ એકયુરેટ એન્ડ ટાઇમલી ઇન્ફોર્મેશનનો પાયલેટ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહિવટી કાર્ય સંસ્કૃતિમાં ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી અને લેસ હ્યુમન ઈન્ટરફીયરન્સનો જે ધ્યેય રાખ્યો છે તે આ પોર્ટલ દ્વારા ગૃહ વિભાગ સાકાર કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીત શાહે તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલનુ અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યુ હતું. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરીકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને તેવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકોને અને પોલીસ સ્ટેશન બન્નેને ફાયદો થાય છે.
પેન્ડિંગ અરજીમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાર્યક્ષમતામાં આશરે ૫૦ % થી વધુ વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેર પોલીસને મળેલી આ સફળતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં હવે આ પોર્ટલનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોર્ટલ લોન્ચ કરતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને દેશની સુરક્ષાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણી સેનાએ ઓપરેશન સિંદૂરમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવીને સાકાર કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, ટેક્નોલોજીની મદદથી ગુનાઓ રોકવા, શોધવા અને પ્રોસિક્યુશન તથા ઈન્વેસ્ટિગેશન ઝડપથી પૂર્ણ થવા સાથે ગુનેગારોને ઝડપી સજા થાય તે પણ વડાપ્રધાનએ નવા કાયદાઓમાં સુનિશ્ચિત કર્યુ છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને સૌથી વધુ જે મુદ્દે પોલીસ અને પ્રજાના પ્રતિનિધિઓ પાસે ધક્કા ખાવા પડતા હોય છે તે, પોલીસ સ્ટેશનમાં પોતે કરેલી ફરિયાદની તપાસ અને તેની પ્રગતિની જાણકારીનો મુદ્દો છે. છેલ્લા બે વર્ષમાં લોકોની આ સમસ્યાને અમે અનુભવી છે અને તેને આધારે હવે ફરિયાદીને ઘરે બેઠા પોતાના મોબાઈલ પર જ એફઆઇઆર, પંચનામુ, આરોપી અટકાયત અને ચાર્જશીટ જેવી વિગતો એસએમએસ મારફતે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેના માટે આઇ પ્રગતિ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે જેને સાયબર ક્રાઈમ સંબંધિત લીધેલા સિટીઝન સેન્ટ્રીક નિર્ણૃયો થકી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. ગુજરાત પોલીસે ઐતિહાસિક સવા બે લાખથી વધુ બેંક એકાઉન્ટ તો અનફ્રીઝ કર્યા જ છે, સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક એવી પોલિસી બનાવી કે રૂ.૫ લાખથી વધુ રકમની ઠગાઈ અથવા ૪થી વધુ ફરિયાદ દાખલ થઈ હોય તેવા એકાઉન્ટ જ ફ્રીઝ કરવા. સામાન્ય નાગરિકોની મૂડી ફસાઈ ન જાય તેની તકેદારી રાખી આ નિર્ણય લીધો હતો. હવે રૂપિયા અનફ્રીઝ કરવાની આ પ્રક્રિયામાં વધુ સરળતા લાવવા ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.