Bharuch,તા.14
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના આદિવાસી નવીનગરી વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી શોચાલય બન્યા જ નથી. આજે પણ જાહેરમાં શૌચ કરવા માટે લોકો મજબૂર બનતા અધિકારીઓએ શૌચાલયનું કૌભાડ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કુલ 753 ગામોમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય અભિયાન લગભગ 3 વર્ષ પહેલા ઉપાડ્યુ હતું જેમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાની યોજના મૂકતા જિલ્લાના 753 ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં જિલ્લાના ઘણા ગામોના આદિવાસી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ શૌચાલય બન્યા જ નથી.
ઘણા લોકોએ તો પોતાના ખર્ચે પણ શૌચાલય બનાવ્યા છે. શૌચાલયના બાંધકામમાં પણ મોટા કૌભાંડની આશંકાઓ વચ્ચે રૂ.1500 કરોડ ઉપરાંતનું કૌભાંડ થયું છે. સૌથી વધારે ઝઘડિયાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં 167 ગામમાં તો શૌચાલય બનાવ્યા જ નથી અને સીધે સીધા જ રૂપિયાનો વહીવટ કરી કૌભાંડ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના સૌથી વધારે આદિવાસી એટલે કે અંતરિયાળ વિસ્તારમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ ગ્રામ્ય વિસ્તારોમાં રેકોર્ડ ઉપર શૌચાલય બની ગયા હોવાનું બતાવી દીધું છે પરંતુ આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં શૌચાલય બન્યા જ નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓએ એકબીજાની મિલિ ભગતમાં મોટી કમાણી કરી નાંખી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામે ગામ આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા છે કે નહીં ? તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.ભરૂચ જિલ્લાના નાદ ગામના નવીનગરી વિસ્તારમાં શૌચાલય બન્યા જ નથી. જેના કારણે 30 વર્ષથી તેઓ ખુલ્લામાં જ શૌચક્રિયા કરવા જતા હોવાના આક્ષેપ કર્યો છે.
આઉટસોર્સિગ અને કરાર આધારિત કર્મચારીઓને સરકારી કચેરીમાં કામ અપાય છે. મજબૂરીથી યુવાનો કોન્ટ્રાક્ટ પર નોકરીએ જોડાય છે અને ઓછા પગારમાં આટલી મોંઘવારીમાં ઘર ચાલે નહીં પરંતુ ઓછા પગારમાં અનેક સરકારી યોજનાઓમાં કૌભાંડ કરી કમાઈ લેતા હોવાનું લોકોમાં ચર્ચાય છે.