New Delhi,તા.20
દેશમાં 2024/25ના વર્ષ માટેના આવકવેરા રિટર્ન જે અંદાજે 8 કરોડથી વધુ ફાઈલ થયા છે. તેમાં એપ્રિલથી જ શરૂ થયેલી આ પ્રક્રિયામાં આઈટી વિભાગ દ્વારા સ્કુટીની શરૂ કરી દેવામાં આવી છે અને તેમાં મોટી સંખ્યામાં કરદાતાઓએ ખોટી રીતે આવકવેરા મુક્તિ જે ટેક્ષ એકઝપશન છે તેનો લાભ લીધો છે.
તેથી એક તરફ રિફંડ પ્રક્રિયાને બ્રેક લાગી છે તો બીજી તરફ હવે આ તમામ આઈટી રિટર્નનું રી-પ્રોસેસીંગ થઈ રહ્યું છે. જેમાં કરદાતાને નોટીસ પાઠવીને તેનો જવાબ મંગાશે અને રી-એસેસમેન્ટથી જો કર વસુલાત કરવાની હશે તો તે પ્રક્રિયા આગળ ધપાવાશે. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ખોટી રીતે કર કપાત મારફત રૂા.700 કરોડની કરચોરી થઈ હોવાનો પ્રાથમીક અંદાજ છે.
આ વર્ષે રિફંડ પ્રક્રિયા ધીમી પડી હોવા પાછળ એક કારણ આ પણ ગણવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રૂા.10 લાખ કે તેથી વધુના રકમના કલેમ છે તેની ખાસ ચકાસણી થશે. ખાસ કરીને ખોટા મેડીકલ ખર્ચ અને રાજકીય તથા ધાર્મિક દાન જેમાં કરમુક્તિ મેળવાઈ છે તેના પર આવકવેરાની સીધી નજર છે. ખાસ કરીને જૂની આવકવેરા પદ્ધતિ જેમાં માન્ય કરકપાતનું વળતર મળે છે તે પ્રકારના રિટર્ન પર સીધી નજર છે.
ખાસ કરીને જેઓની આવક રૂા.20 લાખથી વધુ છે તેમાં ખોટી રીતે કરકપાત મેળવાઈ હોવાનું નોંધાયુ છે અને રસપ્રદ બાબત એ છે કે તેમાં મોટાભાગના અગાઉ પણ આઈટી રિટર્નમાં ખોટી રીતે કરકપાત લેવામાં સપડાઈ ચૂકયા છે. આથી જેઓએ વિવિધ કલમો હેઠળ અલગ અલગ પ્રકારે રીફંડ મેળવ્યા છે તેઓના રિટર્નને ઓટોમેટેડ વેરીફીકેશન પ્રક્રિયા હેઠળ મુકયા છે.
જેથી કોલ ચેકમાં સરળતા થશે જે વધારે પડતા દાવા થયા છે તે ઓળખી શકાશે. આ માટે એડવાન્સ ડેટા એનાલીસ્ટીક છે અને આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારે જેઓએ ખોટી રીતે કલેમ કર્યા છે તેઓને પોતાના રિટર્ન સુધારવાની તક અપાશે. આ માટે કરદાતાને ઈન્ટીમેશન મોકલાઈ રહ્યા છે જેથી તે પોતાના રિટર્ન સુધારી શકશે.
પોતાના કલેમને ટેકો આપતા વધુ પુરાવા રજુ કરી શકશે. જુલાઈ માસમાં જ આ પ્રકારે મોટાપાયે ચકાસણી થઈ ગઈ છે અને કરદાતાને રિટર્ન સુધારવાની તક અપાઈ રહી છે પણ તેના કારણે જેઓને ખરેખર રીફંડ ચૂકવવાના છે તેઓને કોઈ વિલંબ ન થાય તે પણ જોવાઈ રહ્યું છે.
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયામાં હવે આ વર્ષે ધીમા રીફંડની ફરિયાદો છે. જેમાં રૂા.20000 કે તેથી વધુની રકમના રીફંડના દાવા કરનારની ખાસ ચકાસણી થઈ રહી છે. 16 સપ્ટેમ્બર સુધી કુલ 7.30 કરોડ લોકોએ રીટર્ન ફાઈલ કર્યા છે. જેમાં રીફંડમાં વિલંબ પાછળ અનેક કારણો જવાબદાર છે.
સામાન્ય કારણોમાં પેન-આધાર અને બેન્ક ખાતાના લીંકઅપમાં સમસ્યા રીટર્ન ફાઈલીંગના 30 દિવસમાંજ વેરીફીકેશન નહી કરાવવું. ફોર્મમાં 26 એએચ તથા એ-આઈએસ અથવા જે ટીડીએસ કલેમ થયા છે તેના સર્ટીફીકેટ રજૂ નહી કરવા વિ જવાબદાર છે.
કરદાતા આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને તેના રીફંડનું સ્ટેટસ ચકાસી શકે છે. જો કે નાની રકમના રીફંડ તાત્કાલીક આપવામાં આવી રહ્યા છે. અનેક કરદાતાને તો રિટર્ન ફાઈલ કર્યાના થોડા જ કલાકોમાં રીફંડ મળી ગયા છે.