Vadodara,તા.૩
મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન દરમિયાન વડોદરા મહાનગરપાલિકા શાસિત શાળાઓના સમયમાં ફેરફાર કરવાના નિર્ણયના પડધા રાજ્યમાં પડ્યાં છે. ભાજપ શાસિત મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ બોર્ડ દ્વારા, જે શાળાઓમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય તેવી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ વિશ્વ હિંદુ પરિષદને થતા વ્યાપક દેખાવ યોજવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના આ નિર્ણય સામે સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે.
ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન મહિનાને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જે વિસ્તારની શાળામાં લઘુમતીકોમના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય તેવી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આ્વ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ નિર્ણયના ઘેરા પડધા અન્ય શહેરોમાં પણ પડ્યાં છે. રમઝાન માસમાં શાળાના સમયમાં ફેરફાર બાબતે વીએચપી દ્વારા સંબધિત અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્રિય મંત્રીએ જણાવ્યું હતું કે, એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન નાગરિક ધારો અમલમાં લાવવા માંગે છે. તેના માટે દેશભરમાં એકમત ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ વડોદરામાં ભાજપ શાસિત મનપાના નગર પ્રાથમિક શાળાઓમાં રમઝાન માસને લઈને સમયમાં ફેરફાર કરીને તૃષ્ટિકરણની નીતિ અપનાવવામાં આવી રહી છે.
વડોદરાની આ ઘટનાના પડધા રાજ્યના અન્ય શહેરોમાં પડી રહ્યાંની જાણ થતા જ સરકાર એકશનમાં આવી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે, વડોદરામાં રમઝાન માસને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવાના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટના અને પરિપત્ર અંગે તપાસ હાથ ધરાશે. ગઈ કાલે આ ઘટના ધ્યાન પર આવી હતી અને કાલે જ સમગ્ર મામલે સ્થાનિક અધિકારીઓ સાથે વાત થઈ હતી તેમ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું. આજે પણ વિગતવાર માહિતી માટેની સૂચના આપવામાં આવી છે.