Rajkot,તા. 10
રાજકોટ શહેરમાં હવે રોજના 9 થી 10 કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે ગઇકાલે રાત્રે શહેરમાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો છે. ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારના 55 વર્ષના પુરૂષનું ટુંકી સારવારમાં મૃત્યુ થતા આજે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. આ દર્દીએ બહારગામનો પ્રવાસ કર્યો ન હતો અને વેકસીનના પણ ત્રણ ડોઝ લીધા હોવાનું બહાર આવ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમે વોર્ડ નં.1ના આ ગાંધીગ્રામ વિસ્તારમાં જયાં દર્દી રહેતા હતા તે વિસ્તારમાં સર્વેલન્સ અને ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. સાથે જ આ દર્દીને અન્ય બિમારીઓ (કો-મોર્બીડ) હોવાનું પણ જાણવા મળેલ છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષને પાંચ-છ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ચારેક દિવસ પહેલા તેમને હળવા તાવનું નિદાન થતા પંચનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને રાબેતા મુજબની સારવાર આપીને એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
તે બાદ ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા રાત્રે 12.50 કલાકે જ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું. આ દર્દીએ કોવિડ વેકસીનના ત્રણ ડોઝ લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો તેઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. આથી તેમને સંક્રમણ કયાંથી લાગ્યું તે ચોકકસ બહાર આવ્યું નથી. સ્થાનિક કક્ષાએ જ ચેપ લાગ્યાની ધારણા છે.
બીજી તરફ સિવિલ અને મનપા આરોગ્ય વિભાગના તંત્રએ આ દર્દી કો-મોર્બીડ હોવાનું પણ કહ્યું છે. આ દર્દીને એક વર્ષથી બ્લડપ્રેશરની તકલીફ હતી અને તાજેતરમાં ડાયાબીટીસનું પણ નિદાન થયું હતું. તે દરમ્યાન તેઓને શ્વાસની તકલીફ અને તાવનું નિદાન થતા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષ રાજકોટમાં કોરોનાના દર્દીઓનો આંકડો 114 પર પહોંચ્યો છે. અર્ધા દર્દી સ્વસ્થ પણ થઇ ગયા છે. મોટા ભાગના દર્દી ઘરે સારવારમાં હોય છે પરંતુ ગઇકાલે એકાએક એક દર્દીનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતા ફફડાટ ફેલાઇ ગયો છે.
હાલ રાજયમાં ઓમીક્રોનનો એલએલએફએફ 7.9 એકસએફજી વેરીએન્ટ ફેલાયેલો છે. આમ તો આ વેરીએન્ટ અગાઉની જેમ ઘાતક ગણાતો નથી. શરદી, ઉધરસ, તાવના લક્ષણો બાદ દર્દી કોરોના મુકત થઇ જાય છે. પરંતુ વડીલો, અન્ય બિમારી ધરાવતા લોકોએ સતર્કતા રાખવી જરૂરી હોવાનું લાગ્યું છે.
મૃતક દર્દીના ડબલ્યુબીસી 40 હજારથી ઉપર પહોંચી ગયાનું પણ તબીબી તપાસમાં દેખાયું હતું. આ સંજોગોમાં પોઝીટીવ નિદાન થયા બાદ તમામ પ્રકારના દર્દીઓએ શકય હોય ત્યાં સુધી કોરોના પ્રોટોકોલનું પાલન કરવા આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.
દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં જસદણના બારીયાનગરમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ કોરોના સારવાર લઇ રહ્યા છે તો રાજકોટના અયોધ્યા ચોક સિધ્ધિ વિનાયક પાર્કમાં રહેતા 64 વર્ષના વૃધ્ધને પણ દાખલ કરાયા છે. આ રીતે બે દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં પૂરા દેશની સાથે કોરોના સંક્રમણ ફેલાયું હતું. તા.18-3-2020ના રોજ રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં પહેલો કેસ આવ્યો હતો. તે બાદની લહેરમાં રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હતા. તો છેલ્લુ મૃત્યુ 2022ના વર્ષના અંતમાં નોંધાયું હતું.
બીજી લહેર સૌથી વધુ ઘાતક બની હતી. આ લહેરમાં સૌથી વધુ માનવ જિંદગીઓ હોમાઇ હતી. છેલ્લી લહેરમાં લગભગ તમામ પરિવારોમાં કોરોના કેસ આવી ગયા હતા. પરંતુ તેમાં જીવનું જોખમ પ્રમાણમાં ઓછું થયું હતું. આમ છતાં છેલ્લુ કોરોના ડેથ 2022ના અંતમાં નોંધાયાનું સુત્રોએ જણાવ્યું હતું.