New Delhi,તા.21
ઇંગ્લેન્ડના બર્મિંગહેમમાં વર્લ્ડ લેજન્ડ્સ ચેમ્પિયનશિપ (WLC)માં ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની મેચ રદ જાહેર કરવામાં આવી હતી. રાતે નવ વાગ્યે આયોજિત મેચના એક દિવસ પહેલાં જ ભારતીય પ્લેયર્સ દ્વારા પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાના સમાચારોને કારણે મેચ રદ થઈ શકે છે એવા અહેવાલ સામે આવ્યા હતા. મેચ રદ થતાં બન્ને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો છે. ભારતની આગામી મેચ બાવીસમી જુલાઈએ સાઉથ આફ્રિકા સામે છે.
WCLના આયોજકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને હાલમાં બન્ને દેશો વચ્ચે વોલીબોલ જેવી અન્ય રમતોમાં સ્પર્ધાઓ થઈ છે ત્યારે અમે WLCમાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવાનું પણ વિચાર્યું.
જેથી વિશ્વભરના ફેન્સ કેટલીક ખુશીની ક્ષણો મળી શકે. જોકે એવું લાગે છે કે આ નિર્ણયથી કેટલાક લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેથી અમે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.’
મેચ પહેલાં ભારતના નેતાઓ અને ક્રિકેટ-ફેન્સે આ મેચની ભારે ટીકા કરી હતી.એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે વધેલા તનાવને કારણે હરભજન સિંહ અને પઠાણ બ્રધર્સ સહિતના પ્લેયર્સે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.
બોલીવુડનો અભિનેતા અજય દેવગન આ ચેમ્પિયનશિપનો સહમાલિક છે. WCLની પહેલી સીઝનમાં ભારતીય ટીમ પાકિસ્તાનને ફાઇનલમાં માત આપીને ચેમ્પિયન બની હતી. જો બીજી સીઝનની બીજી ઑગસ્ટે આયોજિત ફાઇનલમાં આ બન્ને ટીમ ફાઇનલિસ્ટ બનશે તો આયોજકો સામે વધુ પડકારરૂપ પરિસ્થિતિ આવી શકે છે.
મેરા દેશ મેરે લિએ સબકુછ હૈ ઔર દેશ સે બઢકર કુછ નહીં હોતા: ધવન
WCLના ઓફિશ્યલ નિવેદન પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ચોકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે એક ઈ-મેઈલનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું કે ‘જો કદમ 11 મે કો લિઆ ઉસપે આજ ભી વૈસે ખડા હું. મેરા દેશ મેરે લિએ સબકુછ હૈ ઔર દેશ સે બઢકર કુછ નહીં હોતા. જય હિન્દ.’
ભારત-પાકિસ્તાનના લશ્કરી સંઘર્ષ સમયે 11 મેએ શિખર ધવને નિર્ણય લીધો હતો કે તે પાકિસ્તાન સામે નહીં રમે. આ નિર્ણયને તેણે એ જ દિવસે વોટ્સએપ અને કોલના માધ્યમથી આયોજકોને અને પોતાની ટીમને જણાવ્યો હતો. ઈ-મેઈલમાં તેણે આ નિર્ણયની ફરી યાદ અપાવી હતી.