Jammu, તા.૧૧
અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે. ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આવનારા દિવસોમાં યાત્રાએ જનારા ભક્તો અસમંજસભરી સ્થિતિમાં છે કે, અમરનાથ યાત્રાએ જવું કે નહિ. તો સાથે જ ટુર ઓપરેટર્સ પણ મૂંઝવણમાં મૂકાયા છે. સૌપ્રથમવાર યાત્રા શરૂ થયાના સાત જ દિવસમાં શિવલિંગ પીગળી ગયું છે. હવે માત્ર રક્ષાબંધન સુધી યાત્રા ચાલુ રહી શકે તેવી સ્થિતિ છે. પવિત્ર શ્રાવણ માસ પહેલા જ શિવલિંગ પીગળી જતાં આવનારા દિવસોમાં યાત્રાએ જવાનું આયોજન કરનારા ભક્તો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારે સુરક્ષા વચ્ચે શરૂ થયેલી અમરનાથ યાત્રા અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. એવા અહેવાલો છે કે બરફમાંથી કુદરતી રીતે બનતું પવિત્ર શિવલિંગ ઝડપથી પીગળી રહ્યું છે, જેના કારણે યાત્રાળુઓમાં વહેલી તકે દર્શન કરવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં ૧૭ હજારથી વધુ લોકોએ શિવલિંગના દર્શન કર્યા છે. ઝડપથી પીગળવાની બાબતએ યાત્રાળુઓથી લઈને સ્થાનિકો સુધી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
ખાસ વાત એ છે કે કાશ્મીર ખીણમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ કહે છે કે હવે તેમણે અનુમાન લગાવવાનું બંધ કરી દીધું છે કે શિવલિંગ કેટલો સમય રહેશે. એક વરિષ્ઠ સભ્યએ કહ્યું, દર વર્ષે શિવલિંગ ઝડપથી પીગળે છે. તેમણે કહ્યું, વર્ષો પહેલા તે ઓગસ્ટ સુધી રહ્યું હતું. હવામાન વિશે કોઈ નિશ્ચિતતા નથી. ક્યારે શું થશે તેની આપણે આગાહી કરી શકતા નથી. આ ભવિષ્યમાં યાત્રાને અસર કરશે. આપણે ફક્ત સુવિધાઓમાં સુધારો કરી શકીએ છીએ, આપણે હવામાન બદલી શક્તા નથી.
શિવલિંગનું નિર્માણ શ્રાવણ મહિનામાં શરૂ થાય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેમનું અદ્રશ્ય થવું એ પ્રદેશમાં આબોહવા સંકટનું માપ બની ગયું છે. વર્ષ ૨૦૧૮ માં, તે ૨૭ જુલાઈએ પીગળી ગયું હતું, ૨૦૧૯ માં આતંકવાદી ઘટનાઓના જોખમને કારણે યાત્રા રદ કરવામાં આવી હતી, ૨૦૨૦ માં શિવલિંગ જૂનના મધ્યમાં બનાવવામાં આવ્યું હતું અને ૨૩ જુલાઈ સુધીમાં, ૮૦ ટકા પીગળી ગયું હતું. ૨૦૨૧ માં, રોગચાળાએ યાત્રા રદ કરી હતી, ૨૦૨૨ માં તે ફક્ત ૧૮ જુલાઈ સુધી ચાલ્યું હતું અને ૨૦૨૩ માં શિવલિંગ ૪૭ દિવસ સુધી રહ્યું હતું. ૨૦૨૪ માં, શિવલિંગ ફક્ત ૧ અઠવાડિયામાં પીગળી ગયું.