Mumbai,તા.21
વૈશ્વિક ધોરણે એકંદર નકારાત્મક સેન્ટિમેન્ટ છે. શેરબજાર ઉપર અગાઉ તેની પ્રતિકૂળ અસર દેખાઈ રહી હતી. જોકે, ભારતીય શેરબજારમાં વધુ ઘટાડો થયો નથી ઉલટુ શુક્રવારે બજારમાં એક હજાર પોઈન્ટ્સનો ઉછાળો આવ્યો હતો. એકંદર પરિસ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લેવાલી કરવા માગે છે પરંતુ પોર્ટફોલિયોને સુરક્ષિત પણ રાખવા માગે છે.
નેગેટિવ માહોલમાં પણ લોકોમાં ખાસ કરીને યુવાઓમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યેનું આકર્ષણ યથાવત્ છે. કોવિડ મહામારીના સમયમાં જ યુવાઓને બચત અને રોકાણનું મહત્વ સમજાયુ હતું. પરંતુ મ્યુચ્યુઅલ ફંડના નવા રોકાણકારોના મનમાં પ્રશ્ર્ન હોય છે કે રોકાણ લમ સમ કરવુ કે પછી સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)ના માધ્યમે કરવું.
નિષ્ણાતોનું કહેવુ છે કે. જે રોકાણકારની નિવૃત્તિમાં હજી 10થી 15 વર્ષ બાકી હોય તેમણે રોકડનો પ્રવાહ અને ઉપલબ્ધ કોર્પસના હિસાબે નિર્ણય લેવો જોઈએ કે તેમણે લમ સમમાં રોકાણ કરવુ છે કે પછી એસઆઈપીના માધ્યમે કરવુ છે. પરંતુ જે રોકાણકાર ફક્ત 10 વર્ષમાં જ નિવૃત્ત થવાના હોય તેમણે એસઆઈપીનો માર્ગ અપનાવવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ કયા પ્રકારની છે એ જોવી પણ જરૂરી છે, તેના આધારે પણ નિર્ણય થતો હોય છે.
દાખલા તરીકે, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ/ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ અને ડેબ્ટ ફંડ્સમાં લમ સમ રોકાણ થઈ શકતુ હોય તો એસઆઈપી કરવાની જરૂર નથી. જ્યારે ઈક્વિટી ફંડ્સ- સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીયમાં એસઆઈપી અતિ મહત્વની છે કારણ કે રૂપી કોસ્ટ એવરેજનો આમાં લાભ મળે છે.
લમ સમ
લમ સમમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર એક જ વખતમાં રોકાણની રકમ ચૂકવી દેતા હોય છે. જે રોકાણકારોની આવક ચોક્કસ ન હોય તેમના માટે લમ સમનો વિકલ્પ રોકાણ માટે સારો વિકલ્પ છે કારણ કે એસઆઈપીમાં નિયમિત નાણા કપાતા હોય છે તેથી આવક પણ એ હિસાબે નિયમિત હોવી જરૂરી બની જાય છે.
લમ સમ રોકાણમાં સરળતા પણ હોય છે. એક વખત રોકાણ કરી દીધા પછી કોઈ પ્રક્રિયા રહેતી નથી. તેમ જ લાંબા ગાળાની દૃષ્ટિએ પણ લમ સમમાં રોકાણ કરવાથી સારુ રિટર્ન મળવાની સંભાવના હોય છે. જ્યારે શેરબજારમાં મંદી હોય ત્યારે નીચા મથાળે જેણે લમ સમ રોકાણ કર્યુ હોય તેમને લાંબા ગાળે શેરબજારની તેજી સમયે ફાયદો થતો હોય છે.
પરંતુ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ એક વાત ધ્યાનમાં રાખવી કે જ્યારે બજારમાં મંદી આવે ત્યારે પોર્ટફોલિયોમાં નુકસાન પણ ભારે પડતુ હોય છે. લમ સમમાં રોકાણ કર્યા બાદ તેજીની બદલે મંદી આવે તો તેની પ્રતિકૂળ અસર સહન કરવાની માનસિક તૈયારી પણ રોકાણકારોએ કરવી જોઈએ.
સામાન્ય રીતે ઓછી આવક ધરાવતા નાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પાસે મોટી રકમ હોતી નથી અને તેમની પાસે વધુ મૂડી પણ રોકાણ માટે હોતી નથી તેથી તેઓ લમ સમના માધ્યમે રોકાણ કરવાનો અભિગમ અપનાવતા નથી.
તેમજ લમ સમમાં ટૂંકા ગાળાની દૃષ્ટિએ રોકાણ કરવુ ન જોઈએ કારણ કે એકંદર પ્રોસેસિંગ ફીમાં પણ રોકાણકારોના નાણા કપાઈ શકે છે, તેમ જ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સની ચૂકવણી કરવી પડે છે.
સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)
એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ નિયમિત ચોક્કસ રકમનું રોકાણ કરવાનું હોય છે. સામાન્ય રીતે જે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો જોખમ લેવા માગતા નથી તેઓ એસઆઈપીના માધ્યમે રોકાણ કરવાનો માર્ગ અપનાવે છે.
એસઆઈપીના માધ્યમે રોકાણ કરવાનો ફાયદો એ છે કે આમાં રૂપી કોસ્ટ એવરેજનો ફાયદો થતો હોય છે. તેમ જ રોકાણનો એકંદર સરેરાશ ખર્ચ પણ લમ સમની સરખામણીએ ઓછો હોય છે.
રોકાણકારો નાની રકમથી પણ એસઆઈપીની શરૂઆત કરી શકે છે તેથી દર મહિને બોજો પણ વધુ રહેતો નથી. પોતાની સગવડતા અને ખર્ચશક્તિને આધારે એસઆઈપીની રકમ નક્કી કરીને તેઓ રોકાણ કરી શકે છે. પરંતુ એક બાબત પણ છે કે જેમ લમ સમમાં મોટી રકમનું રોકાણ કરીને સારા પ્રમાણમાં રિટર્ન મેળવી શકાય છે તેવી શક્યતા એસઆઈપીમાં રહેતી નથી.
કારણ કે એસઆઈપીમાં દર મહિને અમૂક જ નિર્ધારિત રકમનું રોકાણ થતુ હોય છે તે હિસાબે રિટર્ન મળે છે. તેમ જ લોક-ઈન સમયગાળાની પહેલા જો રોકાણ પાછુ ખેંચી લેવામાં આવે તો પણ વધુ ફીની ચૂકવણી કરવી પડવાની શક્યતા રહેલી છે. તેમ જ જેની આવક નિયમિત ન હોય તેઓ એસઆઈપીનો માર્ગ અપનાવી શકે નહીં.