૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ માટે ઇચ્છુક ઉમેદવારોએ અરજી મોકલવાની રહેશે
Junagadhતા. ૩૧
જૂનાગઢ જિલ્લાનાં યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી, રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસનાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા કરવામાં આવનાર છે.
તાલીમવર્ગમાં જોડાયેલ યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમ વર્ગમાં ઘોરણ ૧૦ પાસ કે તેથી વધુ હોય તેમજ ઉમેદવારની ઉમર ૧૭.૫ થી ૨૩ વર્ષથી વધુ ના હોય તેવા શારીરિક અને માનસિક સક્ષમ ઉમેદવાર જ આ તાલીમ વર્ગમાં અરજી કરી શકશે. આ અંગેનુ અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ ખાતેથી વિનામુલ્યે મેળવી પોતાની અરજી તથા જરૂરી સાધનિક કાગળો સાથે દિન -૧૦માં જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ ખાતે મોકલવાની રહેશે. અરજી પત્રક તથા ધોરણ ૧૦ની માર્કશીટની નકલ થતા શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ અને આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ નંગ-૨, બેંક પાસબુકની નકલ તેમજ એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ તથા અન્ય સાધનક કાગળો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે. તથા અગ્નિવીરની લેખિત પરિક્ષામાં પાસ થયેલ અને એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને અગ્રતા આ૫વામાં આવશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટે.નં. ૦૨૮૫-૨૬૨૦૧૩૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.