Delhi,તા.23
દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી આતિષી આજે કાર્યભાર સંભાળશે. જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના નેતાએ કોર્ટમાં હાજર થવુ પડશે. આતિશીએ શનિવારે સાંજે દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલમાં આતિષીની મુશ્કેલીઓ વધવાની છે.
ત્રીજી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા નિર્દેશ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી આતિશીને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આતિશી ઉપરાંત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓને ત્રીજી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
જે કેસમાં મુખ્યમંત્રી આતિશીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે માનહાનિ સાથે સંબંધિત છે. ભાજપના નેતા રાજીવ બબ્બરે અરવિંદ કેજરીવાલ અને આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલો વર્ષ 2018માં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આરોપોથી ઊભો થયો હતો, જેમાં ભાજપ પર રાષ્ટ્રીય રાજધાનીમાં મતદાર યાદીમાંથી લગભગ 30 લાખ મતદારોના નામ હટાવવાનો આરોપ લગાવ્યા હતા.
આ આરોપો બાદ, મેજિસ્ટ્રેટે માર્ચ 2019માં પૂર્વ સીએમ કેજરીવાલ, આતિશી અને અન્ય AAP નેતાઓને સમન્સ પાઠવ્યા હતા. AAP નેતાઓએ શરૂઆતમાં સેશન્સ કોર્ટ પાસે રાહતની માંગ કરી હતી, પરંતુ સમન્સનો આદેશ યથાવત રાખવામાં આવ્યો હતો. આ પછી મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, જેણે ફેબ્રુઆરી 2022માં તેની સામેની કાર્યવાહી પર અસ્થાયી રૂપે રોક લગાવી હતી.
દિલ્હી હાઈકોર્ટે થોડા દિવસો પહેલા AAPને મોટો કાનૂની ફટકો આપતાં અરવિંદ કેજરીવાલ, આતિશી અને અન્ય નેતાઓની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેઓએ અપરાધિક માનહાનિનો કેસ પાછો ખેંચવાની માંગ કરી હતી. કોર્ટે કેજરીવાલ, આતિશી અને અન્ય AAP નેતાઓને રક્ષણ આપતો વચગાળાનો આદેશ પણ પાછો ખેંચી લીધો હતો અને પક્ષકારોને નીચલી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. હાલમાં રાઉઝ એવન્યુ કોર્ટે AAP નેતાઓને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.