Rajkot, તા. 21
શહેરના વોર્ડ નં.17ના પરમેશ્વર સોસાયટી રોડ પર આજે બપોરે ડિમોલીશન શરૂ કરવામાં આવતા મહિલાઓ આડી આવી હતી અને માથાકૂટ કરતા વિજીલન્સ પોલીસે તેમને દુર ખસેડયા હતા. બપોરે 26 જેટલા મકાનો અને કારખાનું તોડી પાડીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ ડિમોલીશન અંગે મનપાએ જાહેર કરેલી પ્રાથમિક વિગત મુજબ વોર્ડ નં.17માં પરમેશ્વર સોસાયટીમાં આજે ડિમોલીશન રાખવામાં આવ્યું હતું. ડે.કમિશ્નર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.17માં ટી.પી.સ્કીમ નં.10(રાજકોટ), 15.00 મીટર ટી.પી.રોડ પર પરમેશ્વર સોસાયટી શેરી નં.3 પબ્લીક મેઇન રોડમા 20 પાકા મકાન (પાર્શીયલ) તેમજ 6 કાચા મકાન રહેણાંક તથા ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદેસરબાંધકામ દુર કરી અંદાજે 525 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.
આ ડિમોલીશન સમયે મહિલાઓ તેમના મકાન દુર થતા બહાર નીકળી પડી હતી અને વિજીલન્સ પોલીસ સાથે રકઝક કરીને બુલડોઝર રોકવા પ્રયાસ કર્યા હતા. પરંતુ મહિલા સહિતના પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.
આમ તો ત્રણ મહિના અગાઉ પણ આ જગ્યા ખાલી કરવા નોટીસો આપવામાં આવી હતી. પરંતુ લોકોએ જાતે આ દબાણ દુર ન કરતા આજે ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક કારખાનાનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખા,ફાયર ઓફીસ સ્ટાફ, સોલીડ વેસ્ટ સ્ટાફ, બાંધકામ શાખા સ્ટાફ તથા રોશની શાખા નો સ્ટાફ સ્થળ પર હાજર હતા. તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ હાજર હતો જે કારણે રકઝક થતા અટકી ગઇ હતી.